ગાંધીનગર : વૈશ્વિક મહામારી કોરોના વાયરસનાં સંદર્ભે દેશભરમાં કરવામાં આવેલા લૉકડાઉનનાં પગલે ગુજરાત સરકાર પણ તેનું પાલન કડકાઈથી કરી રહી છે.આ લોકડાઉનની સ્થિતિમાં અનેક લોકો પોતાના વાહન પર જીવનજરૂરી ચીજ વસ્તુઓ ખરીદવા માટે નીકળે છે.ત્યારે પોલીસ દ્વારા આવા પ્રકારનાં વાહન ચાલકોનાં વાહન જપ્ત ન કરવા કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે વાહનવ્યવહાર મંત્રી આર.સી. ફળદુને પત્ર લખી રજુઆત કરી છે.
હાર્દિક પટેલે પોતાના આ પત્રમાં વાહનવ્યવ્હાર મંત્રી આર.સી.ફળદુને રજૂઆત કરતાં જણાવ્યું છે કે,જય ભારત સાથે જણાવવાનું કે,હાલમાં સમગ્ર દેશમાં લૉકડાઉન ચાલી રહેલ છે.તે અનુસંધાનમાં રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારના આદેશો કરવામાં આવ્યા છે.લૉકડાઉન દરમ્યાન જીવનજરૂરી ચીજવસ્તુ ખરીદવા માટે બહાર નીકળતા લોકોના વાહન પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.પરંતુ ઓડિશા હાઈકોર્ટના આદેશમાં જણાવ્યા પ્રમાણે જ્યાં સુધી નજીકમાં જીવન જરૂરી ચીજ વસ્તુ ઉપલબ્ધ કરાવવામાં ન આવે ત્યાં સુધી આવી રીતે વાહનો જપ્ત કરવા તે અયોગ્ય છે.
બિનજરૂરી રીતે વાહનો જપ્ત થવાથી લોકોમાં મુશ્કેલી વધી શકે છે.તેમજ લોકો અને પોલીસ વચ્ચે ખોટું ઘર્ષણ વધી શકે છે.જપ્ત થયેલા વાહન છોડાવવા માટે લોકોને આવા કપરા સમયમાં મોટો દંડ પણ ભરવાનો હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધે તેવી પુરી શકયતા છે.કોઈ વ્યક્તિ વ્યાજબી કારણોસર વાહન લઈને ઘરની બહાર નીકળ્યો છે કે નહિ તેની વ્યવસ્થા કરવા માટે સોસાયટી/એપાર્ટમેન્ટના પ્રમુખને લેખિત ચિઠ્ઠી કરી આપવાની માર્ગદર્શિકા જાહેર કરી શકાય તેમ છે.સોસાયટી/એપાર્ટમેન્ટનાં પ્રમુખ નાની કાપલીમાં સોસાયટીનો સિક્કો અને તારીખ અને કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી કાપલી માન્ય ગણાશે તેવું વધુમાં વધુ એક કલાકનું લખાણ કરી આપવાથી પોલીસને પણ ખોટી રીતે બહાર નીકળતા લોકોને પકડવામાં સરળતા થશે.
આમ,જો લોકોને જીવનજરૂરી ચીજવસ્તુ લેવામાં પણ હેરાનગતિ કરવામાં આવશે તો અસરકારક લૉકડાઉન કરી શકાશે નહીં.માટે મારી વિનંતી છે કે, અન્ય વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી લોકોના વાહનો જપ્ત કરવામાં ન આવે તેમજ જે વાહનો જપ્ત કર્યા છે તેમાં દંડ વસૂલ કરવાના બદલે ફક્ત લેખિત બાંહેધરી લઈને છોડી મુકવામાં આવે.