મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ વિવાદના કેસનો ૧૯મી મેએ ચુકાદો આવશે.મથુરાની કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિ પરિસરની ૧૩.૩૭ એકર જમીનની માલિકી માટે અરજી થઈ છે.અરજદારોએ કોર્ટની દેખરેખમાં શ્રીકૃષ્ણ જન્મ પરિસરની જમીનમાં ખોદકામ કરીને રીપોર્ટ આપવાની માગણી કરી છે.ઉત્તર પ્રદેશના મથુરાની કોર્ટમાં શ્રીકૃષ્ણ જન્મભૂમિના વિવાદનો કેસ ચાલી રહ્યો છે.શ્રીકૃષ્ણ જન્મસ્થળ નજીક બનેલી શાહી ઈદગાહ મસ્જિદ શ્રીકૃષ્ણનો જન્મ જે જેલમાં થયો હતો તેના પર બની હોવાનો દાવો ઘણો જૂનો છે.અરજદારોએ કોર્ટમાં કહ્યું હતું કે આખા શ્રીકૃષ્ણજન્મ પરિસરમાં કોર્ટની નિગરાનીમાં ખોદકામ કરીને રીપોર્ટ તૈયાર કરવો જોઈએ.બાંધકામની નીચેની જમીનના પુરાવાના આધારે આખા પરિસરનો કબજો શ્રીકૃષ્ણ જન્મભૂમિને આપવો જોઈએ.અરજી પ્રમાણે જે સ્થળે અત્યારે મસ્જિદ બાંધવામાં આવી છે તે સ્થળે મથુરામાં સદીઓ પહેલાં કંસનો કારાવાસ હતો.એ કારાવાસમાં જ શ્રીકૃષ્ણનું પ્રાગટય થયું હતું.એટલે જેલને શ્રીકૃષ્ણજન્મનું મૂળ સ્થળ માનીએ તો એ સ્થળની માલિકી મંદિરન મળવી જોઈએ એવી માગણી થઈ છે.આ મુદ્દે ઘણી અરજીઓ થઈ છે.અગાઉ ૨૦૨૦માં મસ્જિદને હટાવવાની અરજી કોર્ટે નકારી દીધી હતી.એ પછી તેના પુરાવા એકઠા કરવાની અને તેના માલિકી હક્કો માટે અરજીઓ થઈ છે, તે અંગે મથુરાની કોર્ટ ૧૯મી મેના રોજ ચુકાદો આપશે.