નવી દિલ્હી તા.26 : ભારતમાં કોરોનાના અત્યંત ભયાનક સંક્રમણ વચ્ચે વિશ્ર્વના જુદા-જુદા દેશો ભારતીય પ્રવાસીઓ તથા વિમાની ઉડ્ડયનો પર પ્રતિબંધ મુકવા કે નિયંત્રણો લગાવવા માંડયા છે.જર્મની,ઈટાલી તથા માલદીવે ભારતીય પ્રવાસીઓને ‘નો-એન્ટ્રી કરી દીધી છે જયારે નેધરલેન્ડ દ્વારા ભારતની ફલાઈટ રદ કરી દેવામાં આવી છે.
જર્મની,ઈટાલી,માલદીવ તથા બાંગ્લાદેશ દ્વારા કોરોના પરિસ્થિતિને ધ્યાને રાખીને ભારતીય પ્રવાસીઓ પર અંકુશો મુકયા છે.જર્મનીએ માત્ર પોતાના નાગરિકો તથા રેસીડન્ટ પરમીટ ધરાવનારાને જ આવવા દેવાનું જાહેર કર્યુ છે.જો કે, એર ઈન્ડીયા તથા લુફત્સાનાની વિમાની સેવા ચાલુ જ રહેશે.ઈટાલીએ માત્ર ભારતીય પ્રવાસીઓ જ નહીં પરંતુ છેલ્લા 14 દિવસ ભારતમાં હોય તેવા અન્ય કોઈપણ વિદેશી નાગરિકના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો છે.
ઈટાલીયન નાગરિકો પણ નેગેટીવ રીપોર્ટ સાથે જ જઈ શકશે ઉપરાંત કવોરન્ટાઈન થવુ પડશે.માલદીવ દ્વારા પણ ભારતીય પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકાયો છે.છેલ્લા કેટલાક દિવસોમાં બ્રિટન,સંયુક્ત આરબ અમીરાત,કુવૈત,ઓમાન હોંગકોંગ,આઉદી અરેબીયા, સિંગાપોર તથા ઈન્ડોનેશિયાએ પણ નિયંત્રણો જારી કર્યા જ હતા.આ સિવાય નેધરલેન્ડે પણ 1લી મે સુધી ભારતની તમામ ફલાઈટ સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી છે.