-વરિષ્ઠ નાગરિકો એસબીઆઈ વી કેર ડીપોઝિટ યોજનામાં વધુ 0.30 ટકા પ્રીમિયમ આપશે
મુંબઈ,
દેશની સૌથી મોટી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)એ પોતાના ગ્રાહકોને મહામારી વચ્ચે રાહત આપી છે. એસબીઆઈએ ગ્રાહકો માટે લોનના ધિરાણ દરમાં 0.15 ટકાનો ઘટાડો કર્યો છે.આ સાથે જ એસબીઆઈનો ધિરાણ દર 7.40 ટકાથી ઘટીને 7.25 ટકા થઈ ગયો છે. બીજીતરફ એસબઆઈએ થાપણો પરના વ્યાજદરમાં પણ 0.20 ટકાનો ઘટાડો કર્યો છે.એસબીઆઈએ વ્યાજના દરમાં ઘટાડો કરતા મહિનાના ઈએમઆઈમાં 255 રૂપિયાની રાહત ગ્રાહકોને મળી શકશે.
એસબીઆઈએ ધિરાણ દરમાં કરેલો ઘટાડો 10 મેથી જ્યારે ડીપોઝિટ્સ પરનો ઘટાડો 12 મેથી લાગુ થશે. એસબીઆઈએ એમસીએલઆરમાં સતત 12મી વખત ઘટાડો કર્યો છે અને નાણાકીય વર્ષ 2020-21માં બીજીખત ઘટાડો કર્યો છે. માર્ચથી અત્યાર સુધીમાં એફડીના વ્યાજદરમાં બેન્કે ત્રણ વખત ઘટાડો કર્યો છે.
એસબીઆઈએ વરિષ્ઠ નાગરિકો માટે વિશેષ થાપણ યોજના શરૂ કરી હોવાનું જણાવ્યું છે.એસબીઆઈ વીકેર ડીપોઝિટ યોજના અંતર્ગત વરિષ્ઠ નાગરિકોને પાંચ વર્ષ કે તેનાથઈ વધુ મુદતની રિટેલ ટર્મ ડીપોઝિટ ઉપર વધારાના 0.30 ટકા વ્યાજ આપવામાં આવશે.આ યોજના 30 સપ્ટેમ્બર સુધી અમલમાં રહેશે.