ગુજરાતમાં નવી બનેલી પટેલ સરકારનો પહેલો પડકાર વિધાનસભાનું ચોમાસુ સત્ર છે ત્યારે નવી સરકારના પ્રથમ વાર જ બનેલા નવા મંત્રીઓને વહિવટનું જ્ઞાન અને વિપક્ષના આક્રમણ સામે લડી લેવાની કુનેહ શીખવાડવા સોમવારથી દરરોજ એક કલાક નવા મંત્રીઓની વિશેષ પાઠશાળા શરૂ કરવામાં આવી છે.જેમાં જે તે મંત્રીઓને તેમના વિભાગની કામગીરીથી માંડીને યોજનાઓ નીતિઓ અને નિર્ણયો અંગેની જાણકારી આપવામાં આવી રહી છે.
તમામ મંત્રીઓએ પરફોર્મન્સ દેખાડવું પડશે
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમમાં 20 જેટલા મંત્રીઓ એવા છે કે જેઓ પ્રથમ વખત મંત્રી બન્યા છે,એટલું જ નહીં આ મંત્રીઓને કેબિનેટના મંત્રી પદ તરીકે શપથ લેવડાવવામાં આવ્યા છે.આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને એક વર્ષ દરમિયાન આ તમામ મંત્રીઓએ પરફોર્મન્સ દેખાડવું પડશે.લોકોને સંવેદનશીલ સરકારનો અનુભવ કરાવવો પડશે. પ્રજાના કામો ઝડપથી ઉકેલવા પડશે પોતાના વિભાગનું સો ટકા પર્ફોર્મન્સ આપવું પડશે તેવા નિર્દેશ દિલ્હીથી હાઈકમાન્ડ દ્રારા આપવામાં આવ્યા છે.
સોમવારથી દૈનિક એક કલાક પાઠશાળા ચાલશે
પ્રથમ વખત મંત્રી બનેલા મંત્રીઓને વહીવટી કામકાજની સુઝ બુઝ માટે વિશેષ પાઠશાળા અને તાલીમ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.જે સોમવારથી દૈનિક રીતે એક કલાક ચલાવવામાં આવશે તેમ સૂત્રોમાંથી જાણવા મળે છે.બીજી બાજુ વિધાનસભાના ચોમાસુ સત્રને આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવા સંજોગોમાં મંત્રીઓના પરફોર્મન્સ પર સૌની નજર છે.જેને ધ્યાનમાં રાખીને મંત્રીઓને તાલીમ આપવામાં આવશે.
વિધાનસભા સત્રમાં નવા મંત્રીઓ અને અધિકારીઓ
આવતા સપ્તાહે સોમવાર અને મંગળવાર બે દિવસ માટે વિધાનસભાનું ચોમાસુ સત્ર યોજાઈ રહ્યું છે.આ સત્રમાં નવા મંત્રીઓ ઉપરાંત અધિકારી મોટા ભાગના વિભાગોમાં નવાં જ અધિકારીઓ હાજર રહેશે.ત્યાં સુધીમાં મંત્રીઓને પણ અંગત સચિવ અને મદદનીશ મળી જશે.
કોંગ્રેસ ફી માફી, ખેડૂતોને નુકસાન સહિતના મુદ્દે સરકારને ઘેરશે
આ બેઠકમાં કોરોનાકાળમાં રાજ્ય સરકારની નિષ્ફળતાના મુદ્દે સરકારને કેવી રીતે ભીંસમાં લેવી, ચોમાસાની શરૂઆતમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને થયેલા નુકસાન અને હવે ભારે વરસાદથી થયેલ અતિવૃષ્ટિને કારણે ખેડૂતોનું જમીન ધોવાણ,ઉભા પાકને નુકસાન,તાઉ તે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં થયેલા નુકસાન અને બાગાયતી પાકોને થયેલા કરોડોના નુકસાન સામે સરકારની નજીવી સહાય સહિતના મુદ્દા ઉપરાંત મહિલા અત્યાચાર,બેરોજગારી, શિક્ષણ ક્ષેત્રે પ્રવર્તી રહેલી અંધાધૂંધી,ફી માફીની માંગણી,કાયદો વ્યવસ્થાની સ્થિતિ વગેરે મુદ્દા પર ચર્ચા કરીને રણનીતિ તૈયાર કરાશે.