સુરત : સુરતમાં હીરા કારીગરોમાં કોરોનાનું સંક્રમણ વધતા સાત દિવસ માટે કારખાના અને બજાર બંધ કરવામાં આવ્યાં હતાં.ત્યારબાદ વધુ ત્રણ દિવસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.હવે હીરા બજારને ફરી શરુ કરવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે.આગામી 10 જુલાઈના રોજ હીરા બજાર શરુ કરવામાં આવશે.જેને લઈને નવી ગાઇડલાઈન રજૂ કરવામાં આવી છે.આ માર્ગદર્શિકાનું પાલન કરીને જ હીરા બજારમાં તમામ વેપાર કરવામાં આવશે.હવેથી હીરા બજારની તમામ ઓફિસો બપોરે બે વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. સરકારની ગાઈડલાઈનનો હીરા ઉદ્યોગકારોએ ફરજિયાત અમલ કરવો પડશે. શહેરમાં કોરોના દિવસેને દિવસે બેકાબૂ બની રહ્યો છે.માત્ર 24 કલાકમાં જ ડબલ સેન્ચુરી જેટલા કેસ નોંધાઈ રહ્યા છે.હવે તો કોરોનાને લઈને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. જેને લઈને જોખમ ઉભું થયું છે.અનલોક-1 પછી હીરાબજારમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હતું.જેને લઈને પાલિકા દ્વારા હીરા બજાર અને કારખાનાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.જે બાદ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી દ્વારા સરકારમાં રજૂઆત કરાતા 10 જુલાઇથી હીરા બજાર અને 14 જુલાઇથી હીરા કારખાના શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.જેને અનુસંધાને આજે હીરા ઉદ્યોગ માટે નવી ગાઇડલાઇન બહાર પાડવામાં આવી હતી.
હીરા બજાર શરુ કરવા માટેની ગાઈડલાઈન
>> ઓફિસોમાં આવેલ તમામ ફર્નિચરને બે વાર સેનિટાઈઝ કરવાનું રહેશે.
>> 1 મીટર જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા ઓફિસ ફર્નિચરના લે-આઉટમાં ફેરફાર કરવાના રહેશે.
>> ઓફિસોના બાથરૂમને દરરોજ દિવસના બે વખત હાઈપોકલોરાઈડથી સાફ-સફાઈ કરાવવાના રહેશે.
>> ઓફિસોના કારીગરો માટે જરૂરી પર્સનલ પ્રોટેકશનના સાધન ઉપલબ્ધ રાખવાના રહેશે. આવ સાધનોના નિકાલ માટે પીળા રંગની બેગની વ્યવસ્થા કરવાની રહેશે.
>> ઓફિસોમાં કામ ઉપર આવતા કર્મચારીઓનું નોંધણી રજીસ્ટર બિલ્ડિંગના ગેટ પર રાખવાનું રહેશે.
>> ઓફિસોમાં યોગ્ય પ્રમાણમાં નેચરલ કોસ વેન્ટિલેશન મળી રહે તે મુજબની વ્યવસ્થા કરવાની રહેશે.
>> ઓફિસોમાં સંપૂર્ણ વિસ્તારને આવરી લે તે મુજબ સીસીટીવી કેમેરામ લગાવવાની ૨હેશે.
>> હીરા બજારોમાં રસ્તાઓ ઉપર ઊભા રહી વાહનો પર બેસી કે ઓટલા ઉપર બેસીને ખરીદી-વેચાણ કરી શકાશે નહી. બજારની શેરીઓમાં તથા ઓફિસોની પ્રત્યેક કેબીનમાં એક સાથે ચાર કે તેથી વધુ વ્યક્તિ ભેગા થઈ શકશે નહીં.
>> ઓફિસ પ્રવેશ પર પગથી સંચાલિત વૉશ બેસિન અથવા સેનિટાઈઝર મૂકવાના રહેશે.
>> તમામ ઓફિસો બપોરે 2:00 વાગ્યાથી સાંજે 6:00 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.
>> હીરા બજારના દરેક ઓફિસના કર્મચારીઓને ઓળખપત્ર આપવાનું રહેશે.
>> ઓફિસ ખોલવા અને બંધ કરવાના સમયે મોકડ્રીલ કરવી પડશે.
– કન્ટેઇનમેન્ટ એરિયામાંથી કોઇ વ્યક્તિને કામ ઉપર બોલાવી શકશે નહી. બહારથી આવતી વ્યક્તિને 14 દિવસ ક્વોરન્ટીન રહ્યા પછી જ કામ ઉપર બોલાવી શકાશે.
>> કર્મચારીનું રોજ બે વખત થર્મલ સ્ક્રિનિંગ કરી તાપમાન માપવાનું રહેશે.
>> હીરા બજારની દરેક બિલ્ડિંગમાં શિફ્ટ શરૂ થવા તેમજ પૂરી થવા સમયે ડ્રીલ કરવાની રહેશે. જેમાં કારીગરોને કોરોના મહામારી તેના ફેલાવાની રીત તથા તેના સંક્રમણથી બચવા માટે સાવચેતીના પગલાં અંગે માર્ગદર્શન પૂરૂ પાડવાનું રહેશે.
હીરા બજારમાં લોકોને શપથ લેવડાવવામાં આવશે
હીરા બાજરમાં દરેક વ્યક્તિ તમામ સાવચેતીના પગલા લેશે તે મુજબની શપથ લેવડાવવામાં રહેશે. “હું કોરોના મહામારીના સંક્રમણને અટકાવવા માટે સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા કે સૂચવવામાં આવેલા તમામ સલામતીના પગલા લઈશ અને આ મહામારી ફેલાતી અટકાવવામાં મારો ફાળો આપી.”
નીચે વીડિયો જુઓ : કોરોના માટેના ઇન્જેક્શનની કાળાબજારી સામે આવી
મનપા સરપ્રાઇઝ ચેકિંગ કરશે
આ ઉપરાંત મનપાના અધિકારીઓ ગમે તે સમયે આવી ચાલુ ટ્રેડિંગ યુનિટ/ઓફિસોનું સરપ્રાઈઝ ચેકીંગ કરશે. આવા ચેકિંગ દરમિયાન જો ઉપરોકત નિયમોનું પાલન થતું ન હોવાનું જણાશે તો આવા ઓફિસો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી/રોકડ દંડ કરવામાં આવશે. તે ઉપરાંત ચાલુ ઓફિસોમાં કર્મચારીઓનું એન્ટિજન ટેસ્ટ કરવામાં આવશે. આવા પરિક્ષણમાં જો કોઈ વ્યકિત સંક્રમિત જણાશે તો આવા ટ્રેડિંગ યુનિટ/ ઓફિસને સંપૂર્ણ બિલ્ડિંગને તાત્કાલિક અસરથી બંધ કરાવવામાં આવશે. જે બજારમાં 10થી વધુ સંકમિત વ્યક્તિ જણાશે તેવા બજારોને સંપૂર્ણપણે બંધ કરવામાં આવશે. જે બજારોમાં ઉપરોકત તમામ નિયમોનું પાલન થતું હોવાનું જણાશે તથા એકપણ સંક્રમિત વ્યક્તિ ન મળે તેવા ટ્રેડિંગ યુનિટ/ ઓફિસોને કોવિડ સેફ્ટી એક્રેડિશન આપવામાં આવશે.