દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસો અને તેને રોકવાના પ્રયાસો માટે સ્થાનિક સ્તરે લગાવાતા પ્રતિબંધોની અસર મોંઘવારી પર પડવા લાગી છે.દેશભરમાં સ્થાનિય સ્તર પર લોકડાઉન જેવા કડક પ્રયોગોને કારણે આર્થિક ગતિવિધિ પ્રભાવિત થઈ રહી છે. આ કરફ્યુ અને લોકડાઉનના કારણે શાકભાજી તેમજ કરિયાણાના ભાવમાં વધારો થવા સાથે ખાદ્યતેલ અને કઠોળની કિંમતમાં પણ વધારો થયો છે.
ઓક્ટોબર 2012માં જે ફુગાવો હતો તેવો ફૂગાવો થયો
માર્ચમાં મોંઘવારી દર ફેબ્રુઆરીના 4.17 ટકાથી વધીને 7.39 ટકા થઈ ગયો છે.જથ્થાબંધ ફુગાવો – મોંઘવારીનું આ સ્તર માર્ચ 2021થી પહેલા ઓક્ટોબર 2012માં હતું.આ સમયે ફૂગાવો 7.4 ટકા હતો.ક્રૂડ ઓઈલ અને ધાતુની વધતી કિંમતોને કારણે જથ્થાબંધ ફુગાવા પર તેની અસર જોવા મળી હતી.
તેલની કિંમતમાં આવ્યો મોટો વધારો
સોયાબીન તેલની કિંમત 150 રૂપિયાથી પણ વધારે થઈ ગઈ છે.સપ્ટેમ્બર મહિના સુધી સોયા તેલની કિંમત 100થી 110 રૂપિયા હતી.સોમવારે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ્સ એક્સેચેન્જમાં એપ્રિલ મહિનામાં ડિલિવરી માટે રિફાઈન્ડ સોયા તેલના ભાવ 0.64 ટકા તેજી સાથે 9 રૂપિયા વધીને 1415 રૂપિયા પ્રતિ 10 કિલો થઈ ગયો છે.
ચણા અને મસૂર દાળને છોડીને કોઈપણ દાળ 100 રૂપિયાથી નીચે નથી
કઠોળના ભાવમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 2થી 3 મહિના પહેલા તુવેર દાળના ભાવ 90 રૂપિયા હતા જે હાલ 100 રૂપિયાથી 110 રૂપિયા કિલો થઈ ગયા છે.ચણા અને મસૂર દાળને છોડીને કોઈપણ દાળ 100 રૂપિયાથી નીચે નથી.એમાં પણ દુકાનો પર અલગ અલગ ભાવ હોય છે. કોરોના સંક્રમણ વચ્ચે વધી રહેલી આ મોંઘવારીને કારણે લોકોની મુશ્કેલીઓ પણ વધી રહી છે.
માર્ચમાં દાળની મોંઘવારી ફેબ્રુઆરીના 10.25 ટકાથી વધીને 13.14 ટકા પર આવી ગઈ
માર્ચમાં દાળની મોંઘવારી ફેબ્રુઆરીના 10.25 ટકાથી વધીને 13.14 ટકા પર આવી ગઈ છે.ડુંગળીની મોંઘવારી ફેબ્રુઆરીના 31.28 ટકાથી ઘટીને 5.15 ટકા પર રહી ગઈ છે.માર્ચમાં દૂધની મોંઘવારી ફેબ્રુઆરીના 3.21 ટકાથી ઘટીને 2.65 ટકા પર રહી ગઈ છે.ઈંડા,માંસ,માછલીની મોંઘવારી ફેબ્રુઆરીના 0.78 ટકાથી વધીને 5.38 ટકા થઈ ગઈ છે.
શાકભાજી પર પડી કોરોનાની અસર
આ બાજુ હોલસેલ માર્કેટમાં 20 રૂપિયે કિલો વેચાનારી શાકભાજી ગ્રાહકો સુધી પહોંચતા સુધી 40થી 50 રૂપિયે પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ છે.લોકોને મજબૂરીમાં મોંઘા ભાવે શાકભાજી ખરીદવા પડી રહ્યા છે.છૂટકમાં 20થી 25 રૂપિયા પ્રતિ 250 ગ્રામે મોટાભાગની શાકભાજી વેચાઈ રહી છે.