અંકલેશ્વર પનોલીના ઉધોગોના દૂષિત પાણીનું વહન કરતી અંકલેશ્વરની નર્મદા ક્લિન ટેક લિમિટેડને ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ GPCB દ્વારા ક્લોઝર નોટીસ ફટકારાતા ઉધોગ આલમમાં ચકચાર મચી જવા પામી છે.
એશિયાની સૌથી મોટી GIDC અંકલેશ્વરમાં આવેલી છે,જ્યાં હજારો નાના મોટા ઉધોગો કાર્યરત છે.ત્યારે આ ઉધોગોમાં થી સમયાંતરે એક યા તો બીજા સ્વરૂપમાં દૂષિત અથવા કેમિકલ યુક્ત પાણી નીકળતું હોઈ છે જેને NCT એટલે કે નર્મદા ક્લીન ટેક મારફતે સિદ્ધુ દરિયામાં વહન કરી દેવામાં આવે છે.ત્યારે ઉદ્યોગોનું ગંદુ પાણી એનસીટીની સંગ્રહીત ટેન્કમાંથી ઓવરફ્લો થઇ આમલાખાડીમાં નિકાલ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું હતું જે બાબતે અનેક પર્યાવરણ પ્રેમીઓ અને આસપાસના જાગૃત ગ્રામજનો દ્વારા સમયાંતરે પુરાવા સાથે રજૂઆતો કરવામાં આવી હતી અને અંતે ગુજરાત પ્રદુષણ નિવારણ બોર્ડ GPCB ને સ્થળ તપાસની ફરજ પડી હતી.
અંકલેશ્વર GPCBએ સ્થળ તપાસ કરી નમૂના લીધા હતા અને ત્વરિત ગાંધીનગર વડી કચેરીને જાણ કરાએ હતી જે બાદ નર્મદા ક્લીન ટેક કંપનીને ક્લોઝર નોટીસ ફટકારવામાં આવી છે.જોકે, આ ક્લોઝર નોટીસ 30 દિવસ પછી અસરકારક રહેશે અને જો નર્મદા ક્લીન ટેક (એનસીટી)નું દિન 30માં રીવૉકેશન ન થાય તો આવનાર દિવસોમાં અંકલેશ્વર અને પાનોલીના ઉદ્યોગને માસ ક્લોઝરની સંભાવનાને પણ નકારી શકાય નહીં ત્યારે હાલ તો જીપીસીબીની એનસીટીને ફટકરાયેલ નોટીસથી ઉધોગ આલમમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.બીજી તરફ માત્ર કેટલાક ચોક્કસ પ્રદુષણ ઓકતા ઉદ્યોગોના પાપે સમગ્ર એસ્ટેટે ભોગવવું પડી રહ્યું હોવાનો ગણગણાટ પણ કેટલાક ઉધોગપતિઓ કરી રહ્યા છે.
આ અંગે અંકલેશ્વર ઉધોગ માંડના પ્રમુખ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે, વર્ષ 2009થી આ ગંભીર સમસ્યા બાબતે અમે એન.સી.ટી. એલ.ને રજુઆતો કરતા આવ્યા છે.તેઓ દ્વારા પમ્પીંગ સ્ટેશન વધારવા અને પ્લાન્ટની જે હાલની 60 એમ.એલ.ડીની ક્ષમતા છે એને પણ વધારવા માટે અનેક વાર રજૂઆતો કરાઈ છે પણ તેનું કોઈ નક્કર નિરાકરણ ના આવતા ઉધોગો એ સમયાન્તરે આર્થિક નકસાન ભોગવવાનો વારો આવે છે.
ઉધોગપતિ પ્રવીણ તેરૈયાએ જણાવ્યું હતું કે, એન.સી.ટી.એલ.ને જે એક મહિનાનો ગ્રેસ પીરીયડ મળ્યો છે એમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તે અત્યંત જરૂરી છે જેથી ઉધોગોને થતા આર્થીક નુકસાનને તો અટકાવી જ શકાય પણ સાથો સાથ સ્થાનિકો સાથે થતા ઘર્ષણનો પણ અંત લાવી શકાય.