અંદરની વાત : વડાપ્રધાને ગુજરાત પ્રવાસ દરમિયાન બબ્બે જગ્યાએ કોંગ્રેસનો ઉલ્લેખ કેમ કર્યો?

HM News
4 Min Read

ક્યાં, ક્યારે, કેટલું અને કેવી રીતે બોલવું એ બાબતમાં સમગ્ર ભારતના રાજકારણીઓમાં વડાપ્રધાન મોદીને શિરમોર ગણવા પડે.બોલાયેલા શબ્દ,શબ્દ બોલવાના સમય-સ્થળ અને બોલવામાં અપાયેલ સ્વરભારનું મૂલ્ય તેઓ બરાબર જાણે છે.એટલે જ ટાણું જોઈને ‘ખાતો નથી, ખાવા દેતો નથી’ ય બોલી શકે છે અને 2013-14માં દિલ્હીમાં આમઆદમી પાર્ટીનો જુવાળ પારખીને ‘હું તો ચા વાળો છું’ એવું પણ કહી શકે છે.સુરતમાં સુરતી જમણ યાદ કરી શકે,ભાવનગરમાં ગાંઠિયા સંભારે,જામનગરમાં બાંધણી યાદ કરે એ જ રીતે સ્થાનિક મહાનુભાવોના નામોલ્લેખમાં ય તેમની પૂરી કાળજી હોય.

ક્યા શહેરમાં કોનું નામ બોલાય અને કોનું ન બોલાય,મંચસ્થ ઊભેલાંઓમાં કોની સાથે હાથ મિલાવાય અને કોની સાથે માત્ર નજર મિલાવાય અને કોની સામે પણ નહિ જોવાનું એ દરેક ઝીણી ઝીણી બાબતોમાં મોદીની અત્યંત લાંબી ગણતરીઓ હોય છે. એટલે જ, હાલમાં ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસ દરમિયાન આણંદ અને જામનગર એમ બે જગ્યાએ તેમણે વિધાનસભાની આગામી ચૂંટણી દરમિયાન કોંગ્રેસની તૈયારીનો ઉલ્લેખ કર્યો,કોંગ્રેસ ભલે મોટી સભા નથી કરતી,સૌને જોવા મળે એવો દેખાડો નથી કરતી પરંતુ ગામડાંઓમાં ખાટલાસભા કરી રહી છે એવું કહીને ભાજપના કાર્યકરોને સાવચેત રહેવા કહ્યું.આ સાવ અમસ્તું કહેવાનો મોદીનો સ્વભાવ નથી.પ્રતિસ્પર્ધીની તૈયારી વિશે જાહેરમાં બોલવાની તેમની પ્રકૃતિ નથી.છતાં તેઓ બોલ્યા જ છે તો તેનાં વિવિધ અર્થઘટનો નીકળી શકે.એ તો સરળ રીતે સમજી શકાય તેમ છે કે ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ થાય તો મોટાભાગે તેનો ફાયદો ભાજપને જ મળે.શાસનવિરોધી મત કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે વહેંચાઈ જાય અને ભાજપ પોતાની કમિટેડ વોટબેન્ક જાળવી રાખે.આ સંજોગોમાં ભાજપની બેઠકો વધવાની શક્યતા પણ ખરી અને જેટલી છે એટલી જાળવી રાખવાની તો ગેરંટી જ મળી જાય.પરંતુ ત્રણ પક્ષો મેદાનમાં હોવા છતાં દ્વિપક્ષી જંગની સ્થિતિ સર્જાય તો?

તો ચોક્કસ ભાજપને ભારે પડી જાય.ભાજપવિરોધી મત એક જ દિશાએ કેન્દ્રિત થાય.એક જ પક્ષની ઝોળીમાં પડે.ત્રીજા પક્ષનું ધોવાણ થઈ જાય અને સાથોસાથ ભાજપને ય એટલું ભારે પડે કે સ્પષ્ટ બહુમતી મેળવવાના ય ફાંફા પડી જાય.પંજાબ વિધાનસભાની છેલ્લી ચૂંટણી તેનું ઉદાહરણ છે.એ ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ,હરીફ અકાલી દળ,આમઆદમી પાર્ટી,કેપ્ટન અમરિંદરનો પક્ષ અને ભાજપ એમ પાંચ મોરચા હતા.ભાજપ અને કેપ્ટનની સ્થિતિ સદંતર નબળી હતી. એ જોતાં ત્રિપાંખિયો જંગ થાય એવી શક્યતા વચ્ચે કોંગ્રેસ પુનઃ સત્તા પર આવશે એવાં અનુમાનો મૂકાઈ રહ્યા હતા.તેને બદલે અકાળી દળ ચૂંટણીમાં સદંતર બિનઅસરકારક પૂરવાર થયું.શાસનવિરોધી મત ફક્ત આમઆદમી પાર્ટીને મળ્યા.સરવાળે તેનાં સાવ અજાણ્યાં ઉમેદવારો પણ જીતી ગયા અને જંગી બહુમતી સાથે આમઆદમી પાર્ટીની સરકાર બની ગઈ,જેની કોઈએ કલ્પના પણ કરી ન હતી.

આ ગણતરી હવે ગુજરાતમાં પણ સાચી પડતી જણાય છે.અહીં ભાજપે ત્રણ દાયકાથી કોંગ્રેસના પાયામાં લૂણો લગાડવામાં કશું બાકી રાખ્યું નથી.જનતાની નજરમાં પણ કોંગ્રેસની વિશ્વસનિયતા તળિયાઝાટક છે.ચૂંટણી માથે છે તોય કોંગ્રેસ સંગઠનમાં કશો સળવળાટ દેખાતો નથી.જે કંઈ પ્રચાર થાય છે એ વ્યક્તિગત ઉમેદવારોના સ્તરે છે.સરવાળે જનતાના દિમાગમાં ત્રીજા પક્ષ તરીકે કોંગ્રેસની હાજરી નહિવત્ત છે.ચૂંટણી સંદર્ભે જે કંઈ ચર્ચા છે એ ભાજપ વિરુદ્ધ આમઆદમી પાર્ટીની જ છે.આક્ષેપ-પ્રતિઆક્ષેપનો સિલસિલો પણ એ બે પક્ષોના નેતાઓ વચ્ચે જ ચાલી રહ્યો છે.ભાજપ કેજરીવાલના હિન્દુવિરોધી પોસ્ટર લગાવે કે ગોપાલ ઈટાલિયાના વીડિયો જાહેર કરે તેમાં છેવટે ફાયદો તો આમઆદમી પાર્ટીનો જ છે.કારણ કે તેને વગર મફતનું માઈલેજ મળે છે અને કોંગ્રેસનો એકડો આપોઆપ ભૂંસાતો રહે છે.ચૂંટણી સુધી જો આવું રહે તો મતદારના મનમાં ભાજપ અને આમઆદમી પાર્ટી એવા બે વિકલ્પો જ સ્પષ્ટ રહે. ભાજપ માટે આ સ્થિતિ અત્યંત ખતરનાક છે.આમાં પંજાબનું પુનરાવર્તન થવાનો ભય છે.આથી જ વડાપ્રધાને કોંગ્રેસની તૈયારી પણ જોરશોરમાં હોવાનું કહીને કાર્યકરોને ચેતવવાના નામે ભાજપવિરોધી મતદારોને પણ ત્રીજા વિકલ્પની યાદ અપાવી દીધી હોય તેમ બની શકે.બાકી આ જ વાત તેઓ કમલમમાં ટોચના નેતાઓ સાથેની બેઠકમાં પણ કહી શક્યા હોત.જાહેરસભામાં કોંગ્રેસની તૈયારી જોરદાર છે એવું બોલવાની એમને કોઈ જરૂર ન હતી.છતાં બોલ્યા છે એ એમની મજબૂરી હોય એવી શક્યતા ઉજળી છે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *