– સુબીર વિસ્તારના 40% લોકો રોજીરોટી મેળવવા માટે 6 મહિના સુધી સ્થળાંતર કરવા મજબૂર થાય છે
– મુખ્ય ચાર રસ્તે આવેલું બસસ્ટેન્ડ જર્જરિત,જાહેર શૌચાલય અને લોકોને બેસવા માટેના બાંકડાની પણ વ્યવસ્થા કરાઇ નથી
ડાંગ જિલ્લાનાં નવરચિત સુબીર તાલુકાનાં ગામડામાં વિકાસ ફક્ત કાગળ ઉપર,ગુજરાત મોડેલ અને ગતિશીલ ગુજરાતના બણગાં ફૂંકતી ભાજપના રાજમાં છેવાડેનું આદિવાસી જનજીવન આજેપણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યું છે.
ડાંગ જિલ્લાનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુબીર તાલુકાનાં ગામડાઓમાં વિકાસ ફક્ત કાગળ ઉપર જ હોય તેવુ ઉદાહરણ જોવા મળી રહ્યું છેે.સુબીર તાલુકામાં લોકો માટેની પ્રાથમિક જરૂરિયાતનો અભાવ છે.તાલુકા મથકનું બસ સ્ટેન્ડ સહિત જાહેર શૌચાલયો ધૂળ ખાઈને સ્વચ્છતા અભિયાનનો છેદ ઉડાડી રહ્યા છે.ચૂંટણી ટાણે જીતવા પૂરતા જ નેતાઓનાં વાયદાઓ થાય છે.જ્યારે કામ ઝીરો ટકામાં દેખાઈ રહ્યું છે.જેના પગલે ડાંગનાં સુબીર વિસ્તારનાં 40% લોકો રોજીરોટી મેળવવા માટે 6 મહિના સુધી સ્થળાંતર થવા મજબૂર થાય છે.શહેર કે ગ્રામ્ય લેવલે જ્યા ગ્રામ પંચાયતમાં સ્ટ્રીટ લાઈટ હોય ત્યારે અહીં સુબીર ગામમાં એકપણ સ્ટ્રીટ લાઈટ જોવા મળતી નથી.સુબીર ગામનાં રિટાયર્ડ પીએસઆઈ રતિલાલભાઈ કાગડે જણાવે છે કે સુબીર ગામનો વિકાસ ફક્ત કાગળ ઉપર જ છે.અહીં મુખ્ય ચાર રસ્તાએ જર્જરિત હાલતમાં બસસ્ટેન્ડ,જાહેર શૌચાલય અને લોકોને બેસવા માટેનાં બાંકડા પણ નથી. કોંગ્રેસ હોય કે ભાજપ બંને પાર્ટીનાં નેતાઓ ચૂંટણી ટાણે વિકાસની વાતો કરે છે પણ વિકાસ દેખાતો નથી.સ્થાનિક લોકોને ખેતી ક્ષેત્રે પ્રગતિ થાય તે માટે પાણી ઉપલબ્ધ કરાવવુ જરૂરી છે.પાણી સંગ્રહિત ડેમ બનાવવા જરૂરી છે.જેથી લોકો પિયતની ખેતી કરી શકે.ખેડૂતો માટે બજાર વ્યવસ્થા પણ અહી રાખવામાં આવી નથી તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ શકે. ગ્રામ્ય લેવલે પશુપાલનનો વ્યવસાય વિકસિત કરવા માટે પાણીની વ્યવસ્થા જરૂરી છે.આજેપણ ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં 40% લોકો મજૂરી કામનાં અર્થે સુગરની ફેકટરીમાં 6 મહિના સુધી સ્થળાંતર કરવુ પડે છે.
સુબીર તાલુકાનાં પીપલાઈદેવી ગામનાં મોતીરામભાઈ બરડે જણાવે છે કે તેઓ નાનપણથી મજૂરી કામે જાય છે, કારણ સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો નથી. મુખ્યમંત્રી જયારે ડાંગમાં આવ્યા હતા ત્યારે તેઓએ કહ્યુ હતુ કે અહીં પશુપાલનને વેગ આપવાની જરૂરત છે પરંતુ પાણીની સુવિધા ન હોવાના કારણે લોકો પશુપાલનનો વ્યવસાય વિકસાવી શકતા નથી.ડાંગ જિલ્લામાં વિકાસ દેખાય છે જેમાં ફક્ત મુખ્ય રસ્તાઓ પાકા બની ગયા છે પરંતુ લોકોની પ્રાથમિક જરૂરિયાત અને રોજીરોટીનો વિકાસ ફક્ત કાગળ ઉપર જ કર્યો છે.જે ભૂમિ ઉપર પ્રભુ શ્રીરામે પાવન પગલા પાડ્યા હતા.આ ઐતિહાસિક સ્થળનાં વિકાસમાં તંત્ર દ્વારા આંખ આડા કાન જ કરતા વિકાસનાં નામે મીંડુ જોવા મળી રહ્યું છે.શબરીધામનાં રહેવાસી બુધાભાઈ ગાયકવાડ જણાવે છે કે સુબીરમાં બસસ્ટેન્ડ,જાહેર શૌચાલયની તકલીફ,સ્ટ્રીટલાઈટ વગેરેની ઘણી સમસ્યા છે.ચૂંટણી ટાણે નેતાઓ લોકોને ફક્ત વાયદાઓ કરે છે પરંતુ ચૂંટણી પૂરી થયા બાદ વિકાસનાં કામો તરફ કોઈ ધ્યાન આપતું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ડાંગનાં અંતરિયાળ વિસ્તારમાં આવેલ સુબીર તાલુકામાં વહીવટી તંત્રની કામગીરી પણ ફક્ત કાગળ ઉપર જ દેખાય છે.અહીં આવાસ યોજના પણ નિષ્ફળ જોવા મળે છે.ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લોકોને નીતિ નિયમો મુજબ આવાસની પણ ફાળવણી કરવામાં આવી નથી.જેઓને આવાસ યોજનાઓ લાભ આપવામાં આવ્યો છે તેઓનાં પણ ઘર હજી સુધી બાંધવામાં આવ્યા નથી.ગ્રામ્ય લેવલે લોકોને પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવતી નથી. હાલમાં સુબીર ગામનાં લોકોની માંગ છે કે સુબીર ગામ તાલુકાનું મુખ્ય મથક છે, જેથી 100થી વધુ ગામનાં લોકોની અહી દિવસ-રાત અવર જવર રહે છે.જેથી તંત્ર પ્રાથમિક જરૂરિયાત એવી અદ્યતન બસ સ્ટેન્ડ સહિત સ્ટ્રીટ લાઈટની સુવિધા ઉભી કરે તે જરૂરી છે.સુબીર તાલુકો બન્યાને ખાસ્સો સમય વિતવા છતાં તંત્ર તાલુકાના વિકાસ માટે હજુ સુધી કોઇ નક્કર કામગીરી કરી હોય તેવું જણાય રહ્યું નથી.જેને લઇને ગ્રામવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.તાલુકાના વિકાસ માટે તમામ ગામમાં સુવિધા ઉભી થાય તો ખરા અર્થમાં વિકાસને વેગ મળ્યો હોય તેવું કહી શકાય.
20 ગ્રુપ ગ્રા.પં.ના કામ હાલ પ્રગતિ હેઠળ છે
સુબીર તાલુકામાં સમાવિષ્ટ 20 ગ્રુપ ગ્રામ પંચાયતમાં 117 જેટલાં વિકાસનાં કામ ચાલી રહ્યા છે.નાણાંપંચની જોગવાઈ અંતર્ગત આવતા કામો પ્રગતિ હેઠળ છે. – વિશાલ પટેલ,તાલુકા વિકાસ અધિકારી, સુબીર


