– મોહનથાળને બદલે ચીકીનો પ્રસાદ આપવામાં આવતા વિરોધ
– મોહનથાળની પ્રસાદ મુદ્દે વાવના ધારાસભ્યએ મુખ્યમંત્રી ને રજુઆત કરી
રાજ્યની શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળના પરંપરાગત પ્રસાદના બદલે ચીકીનો પ્રસાદ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.જેનો વિરોધ થઇ રહ્યો છે.વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરવાના મામલે ધરણાનું આયોજન કરવામાં આવ્યું છે.આ સાથે રાજ્યના મંદિરોમાં સ્તુતિ કરીને મોહનથાળનો પ્રસાદ વહેંચવામાં આવશે.મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવ્યો તેને 9 દિવસ થયા છે.ત્યારે હવે ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને રજૂઆત કરી છે.હિંદુ યાત્રા ધામ અંબાજીની મોહનથાળની પ્રસાદ બાબતે હવે બનાસકાંઠા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.આ પત્રમાં જણાવ્યું છે કે સમાચારપત્રોના માધ્યમથી હિંદુઓના પવિત્ર યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ વિશે વાંચી આ રજૂઆત કરી રહી છું.
અંબાજી માતાના મંદિરમાં મળતો મોહનથાળનો પ્રસાદ એ માત્ર એક ગળી-મીઠી વાનગી જ નથી જેને બીજી કોઇ ગળી વાનગીથી બદલી શકાય.આ મોહનથાળનો પ્રસાદ પ્રાચીનકાળથી વહેંચવામાં આવે છે જેની સાથે હવે માતાજીના ભક્તોની શ્રદ્ધા સંકળાઇ ગઇ છે.વળી, આજના 21મી સદીના સમયમાં અને ફાસ્ટ ફુડના જમાનામાં યુવા પેઢી આપણી સંસ્કૃતિની ઓળખ સમી મિઠાઇઓ ભૂલવા આવી છે.ત્યારે આ મોહનથાળ જેવી પરંપરાગત મિઠાઇ પ્રસાદના સ્વરૂપે આબાલ વૃદ્ધ સૌમાં ખૂબ લોકપ્રિય છે.આ પરંપરાગત મિઠાઇ સાથે માતાજીના આર્શીવાદ જ છે જે આટલા મોટા જથ્થામાં બનતી હોવા છતાં ક્યારેય એ ખૂટી નથી કે બગડી પણ નથી.મોહનથાળએ હવે અંબા માની ઓળખ બની ગયો છે ત્યારે એ પ્રસાદની જગ્યા કોઇ પ્રાઇવેટ કંપનીમાં બનતી ચીકી ન જ લઇ શકે.
મારી આ વિનંતી ધ્યાને લઇ મોહનથાળનો પ્રસાદ અંબાજીમાં ચાલુ રાખવા અને માતાજીના ભક્તોની શ્રદ્ધા અકબંધ રાખવા આપના સ્તરેથી યોગ્ય પગલાં લેવા વિનંતી છે.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પાટણનાં ધારાસભ્ય ડો.કિરીટ પટેલે પણ યાત્રાધામ અંબાજી માતાના મંદિરમાં વહેંચવામાં આવતા મોહનથાળના પ્રસાદ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને રજુઆત કરી છે.