અમદાવાદ : પૂર્વ વિસ્તારમાં દિન પ્રતિદિન હિટ એન્ડ રન તથા અકસ્માતમાં મોતના બનાવો વધી રહ્યા છે.ઠક્કરનગર પાસે હિટ એન્ડ રનની ઘટના બની હતી,જેમાં બાપુનગરમાં રહેતા વૃધ્ધ અંબાજી દર્શન કરીને પરત ફરીને લકઝરીમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતા હતા.આ સમયે પૂર ઝડપે આવી રહેલી મીની ટ્રકના ચાલકે ટક્કર મારતાં તેઓનું સ્થળ પર મોત નીપજ્યું હતું.બજરંગ આશ્રમ સામે અકસ્માત કરી વૃધ્ધને સ્થળ ઉપર મોતને ઘાટ ઉતારી વાહન લઇ ડ્રાઇવર ભાગી ગયો આ કેસની વિગત એવી છે કે બાપુનગરમાં ઇન્ડિયા કોલાની પાસે વિદ્યાનગર સ્કૂલ પાસે પ્રતીક એપાર્ટમેન્ટમાં રહેતા અને ઇલેકટ્રીકની કામગીરી કરતા પરેશકુમાર બળદેવપ્રસાદ મિસ્ત્રી (ઉ.વ.૬૨)તા.૫ના રોજ સમાજની વડીલો સાથે અંબાજી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા,દર્શન કરીને ગઇકાલે મોડી રાતે લકઝરીમાં બેસીને પરત અમદાવાદ આવ્યા હતા અને ઠક્કરનગર બજરંગ આશ્રમ સામે બસમાંથી ઉતરીને રોડ ક્રોેસ કરતા હતા.
આ સમયે વિજયપાર્ક તરફથી પૂર ઝડપે મીની ટ્રક આવી રહી હતી આ ટ્રકના ચાલકે પોતાના વાહનના સ્ટિયરીગ પરનો કાબુ ગુમાવતાં વૃધ્ધને ટક્કર મારી હતી જેથી માથા સહિત શરીરના ભાગે ગંભીર ઇજાઓ થતાં સ્થળ પર તેમનું મોત થયું હતું.આ બનાવ અંગે ટ્રાફિક જી ડિવિઝન પોલીસે મીની ટ્રકના ડ્રાઇવર સામે ગુનો નોંધીને તેની સીસીટીવી ફૂટેજ આધારે તેની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.


