– ભાજપના કોઈ પણ નેતાએ નિવેદન ન આપતા ધર્યું રાજીનામું
– કહ્યું – લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કર્યું
યાત્રાધામ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરીને તેના બદલે ચિક્કીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.જેને લઈ છેલ્લા કેટલાક દિવસથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.ટ્રસ્ટના આ નિર્ણય બાદ ભક્તોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો.છેલ્લા કેટલાક દિવસથી આ વિવાદ વકરી રહ્યો છે.તેમ છતાં ભાજપમાંથી કોઈ નિવેદન ન આવતા ભાજપમાં ભંગાણ સર્જાતું જોવા મળ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા ઘણા દિવસોથી માઈભક્તો દ્વારા મંદિરમાં ફરી મોહનથાળનો પ્રસાદ શરૂ કરવાની માંગ કરાઈ રહી છે.ત્યારે આ વિવાદને લઈ આજે ભાજપના નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.ભક્તો દ્વારા પ્રસાદના વિતરણ બાદ આજે અંબાજી શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ દ્વારા મંદિરના દર્શન કરી ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે.
પાર્ટીને પોતાનું રાજીનામું આપ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના ઉપપ્રમુખ સુનિલભાઈ બ્રહ્મભટ્ટ જણાવે છે કે, માં અંબેના ચાચર ચોકમાંથી મા અંબાના શિખરની સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હુ વર્ષોથી જોડાયેલો હતો તે પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી આ ઉપરાંત અંબાજી ભાજપમાં ઉપપ્રમુખની જવાબદારી સહિતના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છે.ભાજપની સેવા કરતા કરતા આજે 8 દિવસ બંધ થયા મોહનથાળનો પ્રસાદ બંધ થયો તેને પરંતુ કોઈપણ પદાધિકારી કે અધિકારીએ કોઈ નિવેદન ન આપ્યું.કોઈ સક્રિયતા ન દાખવી તે જોતા ખુબ દુઃખ થયુ છે.માં અંબાના લાખો-કરોડો માઈભક્તોની આસ્થાને છેતરવાનું કામ કરેલુ છે તેનાથી હું ખુબ આહત છું અને એટલે જ હું માતા અંબાના ચોકમાં ભાજપના તમામ પદો પરથી હુ રાજીનામુ આપુ છું.
મહત્વનું છે કે, અંબાજી મંદિર ખાતે વર્ષોથી પ્રસાદ તરીકે મોહનથાળ નો પ્રસાદ આપવામાં આવે છે.આ પ્રસાદ અંબાજી મંદિરમાં જેવો બને છે.તેવો પ્રસાદ કોઈપણ જગ્યાએ બનતો નથી. 3 માર્ચે અંબાજી મંદિર પરિસરમાં આવેલા ભક્તોએ ફરીથી મોહનથાળનો પ્રસાદ ચાલુ થાય તેવી માંગ કરી હતી.તો બીજી તરફ સાંજની આરતી પૂર્ણ થયા બાદ ભક્તોએ ભેટ કાઉન્ટર પર હોબાળો પણ મચાવ્યો હતો.તેમ છતાં હજી સુધી પ્રસાદ શરૂ કરાયો નથી.