નવી દિલ્હી : કેન્દ્રની અગ્નિપથ યોજના સામે દેશના અનેક રાજ્યોમાં ઉગ્ર અને હિંસક વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર આ યોજનાનો અમલ કરવા મક્કમ છે.રવિવારે લશ્કરી દળોના ત્રણેય પાંખના અધિકારીઓએ આ યોજના હેઠળ સૈનિકોની ભરતીનું સમયપત્રક જારી કર્યું હતું અને ચેતવણી આપી હતી કે હિંસા અને આગજનીમાં સંડોવાયેલા લોકોની ભરતી કરવામાં આવશે નહીં.બીજી તરફ ચાર દિવસ સુધીના ઉગ્ર વિરોધ બાદ રવિવારે બિહાર,યુપી,મધ્યપ્રદેશ,હરિયાણા અને તેલંગણામાં એકંદર શાંતિ જળવાઈ હતી.જોકે કેટલીક જગ્યાએ શાંતિપૂર્ણ દેખાવો થયા હતા.અગ્નિપથ યોજનાના વિરોધમાં થઇ રહેલા પ્રદર્શનો વચ્ચે અનેક સંગઠનોએ ૨૦ જૂનના રોજે ભારત બંધનું એલાન આપ્યું છે.સોમવારે થનારા ભારત બંધ દરમિયાન હિંસા અને તોડફોડ કે આગચંપીની ઘટના ન બને તે માટે સમગ્ર દેશમાં એલર્ટ જાહેર કરાયું છે.
કોંગ્રેસે કહ્યું છે કે તેના લાખો કાર્યકરો સોમવારે અગ્નિપથ યોજનાનો વિરોધ કરશે.બિહાર અને ઝારખંડ સહિત અનેક રાજ્યોમાં સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરાઇ છે.સરકારે અગ્નિપથ અંગે ખોટા પ્રચાર કરતાં ૩૫ જેટલા વ્હોટ્સએપ ગ્રૂપ પર પ્રતિબંધ મુક્યો છે.આની સાથે જ રવિવારે આખા દેશમાં વિરોધ પ્રદર્શનને કારણે ૪૮૩ ટ્રેન સેવાઓને રદ કરવી પડી હતી અને તેના કારણે હજારો મુસાફરો રઝળ્યા હતા.સંરક્ષણ મંત્રાલયે રવિવારે પ્રેસ કોન્ફરન્સ યોજીને જાહેરાત કરી હતી કે અગ્નિપથ યોજના પાછી ખેંચવામાં આવશે નહીં અને તમામ ભરતી આ યોજના હેઠળ જ થશે.25 હજાર અગ્નિવીરોની પ્રથમ બેચ ડિસેમ્બરમાં તૈયાર થઈ જશે.લેફ્ટનન્ટ જનરલ અનિલ પુરીએ કહ્યું હતું કે કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ ચલાવનારાઓએ વિદ્યાર્થીઓને અગ્નિપથ સામે વિરોધ કરવા માટે ઉશ્કેર્યા છે.
સરકારે વિરોધી દેખાવોને કારણે આ સ્કીમની સમીક્ષા કરવાની કે પાછી ખેંચી લેવાની દરખાસ્ત કરી હતી કે નહીં તેવા પ્રશ્નના જવાબમાં લેફ્ટનન્ટ જનરલ પૂરી વળતો સવાલ કર્યો હતો કે ના,શા માટે પાછી ખેંચી લેવી જોઇએ.ચાર વર્ષના સમયગાળા બાદ 75 ટકા અગ્નિવીરની નિવૃત્તિની જોગવાઈનો ઉલ્લેખ કરતી તેમણે જણાવ્યું હતું કે લશ્કરી દળોની ત્રણેય પાંખમાંથી દર વર્ષે આશરે 17,600 સૈનિકો સમયપહેલા નિવૃત્ત થાય છે.માત્ર અગ્નિપથ યોજના હેઠળ સૈનિકોની એક્ઝિટ થઈ રહી નથી.અનિલ પુરીએ કહ્યું કે ત્રણેય સેના વડા અને CDSએ મળીને વિશ્વના તમામ દેશોની સેનાની સરેરાશ ઉંમર જોઈને નિર્ણય લીધો છે. સેનામાં ફેરફારની પ્રક્રિયા 1989થી ચાલી રહી છે.સેનાની સરેરાશ ઉંમર 32 વર્ષ હતી,અમારું લક્ષ્ય તેને 26 વર્ષ સુધી લાવવાનું હતું.સેનામાં યુવાનોની જરૂર છે.જુસ્સાની સાથે ચેતનાની પણ જરૂર છે.
પુરીએ જણાવ્યું હતું કે આગામી ચારથી પાંચ વર્ષમાં 50,000 અને 60,000 સૈનિકોની ભરતી થશે.આ પછી ભરતીની સંખ્યા વધીને 90,000થી એક લાખ થશે.અમે આ સ્કીમની વિશ્લેષણ કરવા 46,000 સૈનિકોની ભરતી સાથે પ્રારંભ કર્યો છે.આગામી 4-5 વર્ષમાં આપણા સૈનિકોની સંખ્યા 50-60 હજાર થઈ જશે અને પછી તે 90 હજારથી વધીને 1 લાખ થઈ જશે.