નવી દિલ્હી : અગ્નિપથ લશ્કરી નિમણૂક સ્કીમ મામલે દેશમાં સતત બીજા દિવસે હિંસક વિરોધ પ્રદર્શનો ચાલુ રહ્યા હતા.અનેક ટ્રેનો સળગાવી દેવામાં આવતાં ટ્રેન સેવાને વ્યાપક અસર થઇ હતી.તોડફોડ, પથ્થરમારા તેમજ આગચંપીને કારણે સરકારી સંપત્તિને કરોડોનું નુકસાન પહોંચ્યું છે.સેનામાં ભરતી માટે જાહેર કરાયેલી અગ્નિપથ યોજનામાં સરકારે વય મર્યાદા વધારી હોવા છતાં હિંસક પ્રદર્શનો અટક્યા નથી. યુપી,બિહાર,રાજસ્થાન અને તેલંગણા સહિત ૧૧ રાજ્યોમાં પ્રદર્શનકારીઓએ અનેક ટ્રેનોને આગને હવાલે કરી દીધા હતા.અનેક સ્થળોએ બસો સહિત સરકારી સંપત્તિમાં તોડફોડ કરીને ભારે નુકસાન કરાયું છે. વધુ બે લોકોના મોત થયાના અહેવાલ છે.બે દિવસમાં ૧૫થી વધુ ટ્રેનો સળગાવી દેવાઇ છે.હરિયાણામાં ઇન્ટરનેટ બંધ કરીને અગમચેતીના પગલા લેવાયા છે.૩૦૦થી વધુ ટ્રેનોને અસર થઇ છે.
તેલંગણાના સિકંદરાબાદમાં ટ્રેનના એક રેલ કોચમાં આગચંપી કરી દેવાઇ હતી.અહીં થયેલા હિંસક પ્રદર્શનોમાં એકનું મોત થયું હતું.રેલવે સ્ટાફે તરત જ એ કોચમાં સવાર ૪૦ મુસાફરોને બહાર કાઢીને તમામનો જીવ બચાવી લીધો હતો.જેમાં બાળકો પણ સામેલ હતા.યુપીના ફિરોઝાબાદમાં આગરા-લખનૌ એક્સપ્રેસ વે પર ચાર બસોમાં તોડફોડ કરીને જામ કરી દેવાયો હતો.હરિયાણાના નારનોલમાં પણ યુવાઓ ભારે તોડફોડ કરીને વાહન વ્યવહારને કલાકો સુધી થંભાવી દીધો હતો.
બિહારના લખીસરાય જિલ્લામાં વધુ એક વ્યક્તિનું મોત થયું છે.એલએન્ડ ટી મેટ્રો રેલ લિમિટેડ હૈદરાબાદે ટ્વિટ કરીને કહ્યું કે શહેરમાં સ્થિતિ ગરબડ હોવાને કારણે હૈદરાબાદ મેટ્રો રેલની ત્રણેય લાઇનોને આગામી સૂચના સુધી બંધ કરાઇ છે.રાજસ્થાનના ભરતપુર જંક્શન રેલવે સ્ટેશન પર પ્રદર્શનકારીઓએ પોલીસકર્મીને લોહીલુહાણ કરી દીધા છે.યુપીના બલિયામાં સવારે પાંચ કલાકથી પ્રદર્શન શરૂ થઇ ગયું હતું. અનેક ટ્રેનોના કાંચ તોડવામાં આવ્યા હતા.પોલીસે સેંકડો તોફાનીઓની અટકાયત કરી છે.જોકે આ તમામની વચ્ચે આર્મી,નેવી અને એરફોર્સે આગામી અઠવાડિયાથી નવા મોડેલ હેઠળ પ્રારંભિક નિમણૂકની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરી છે.સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સેનામાં જોડાવવા ઇચ્છતાં યુવાનોને તૈયારી શરૂ કરી દેવાની અપીલ કરી છે.
એર ચીફ માર્શલ વી આર ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય વાયુ દળ દ્વારા નવી સ્કીમ હેઠળ નિમણૂક માટે પસંદગીની પ્રક્રિયા 24 જૂનથી શરૂ થશે,જ્યારે સેનાએ કહ્યું છે કે આગામી બે દિવસમાં પ્રારંભિક કવાયત શરૂ થશે.ઇન્ડિયન નેવીએ જણાવ્યું હતું કે તે ટૂંકમાં જ નિમણૂકની પ્રક્રિયા શરૂ કરશે.એક સીનિયર નેવલ કમાંડરે જણાવ્યું હતું કે ભરતી માટેનું જાહેરનામું એક અઠવાડિયાની અંદર જાહેર થશે.સેનાની ત્રણેય પાંખો આગામી વર્ષના જૂન સુધીમાં ઓપરેશનલ અને નોન-ઓપરેશનલ ભૂમિકા માટે પ્રથમ બેચની નિમણૂક કરી દેવા માગે છે.