જ્યારથી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા અજિત પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી રાજ્યના રાજકારણમાં ભારે હલચલ જોવા મળી રહી છે.સત્તાધારી ગઠબંધનમાં અજિત પવારના જૂથના સમાવેશથી મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને તેમના પક્ષના અન્ય નેતાઓ મંત્રાલયોની વહેંચણીના મુદ્દે નારાજ થયા હોવાનું માનવામાં આવે છે.જોકે, સીએમ એકનાથ શિંદે,ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ,ડેપ્યુટી સીએમ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલે મંગળવારે મોડી રાત્રે મુખ્યમંત્રીના નિવાસસ્થાન વર્ષા બંગલામાં આ મુદ્દે બેઠક કરી હતી.
આ બેઠક સવારે 1.15 વાગ્યા સુધી ચાલી હતી
સીએમના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં શિવસેના, ભાજપ અને એનસીપીના આ મોટા નેતાઓએ લગભગ 1.5 કલાક સુધી કેબિનેટ વિસ્તરણ અને વિભાગોના વિભાજન પર ચર્ચા કરી.બેઠક 11.30 વાગ્યે શરૂ થઈ હતી અને મોડી રાત સુધી લગભગ 1.15 વાગ્યા સુધી ચાલુ રહી હતી.જણાવી દઈએ કે આ પાર્ટીઓના નેતાઓ વચ્ચે સતત ત્રણ દિવસમાં આ ત્રીજી બેઠક છે.સરકાર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે આ બેઠક બાદ કેબિનેટનું જલદી વિસ્તરણ કરવામાં આવશે અને પોર્ટફોલિયોની વહેંચણી કરવામાં આવશે.
અજિત પવારે રાજકીય ઉથલપાથલ કરી
ઉલ્લેખનીય છે કે સરકારમાં સામેલ થયા બાદ અજિત પવારએ કહ્યું હતું કે તેમની પાર્ટીએ દેશના વિકાસ માટે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકારનો ભાગ બનવાનો નિર્ણય કર્યો છે.જો કે, અજિત પવાર શાસક ગઠબંધનમાં જોડાવાથી શિંદેની છાવણી સૌથી વધુ અસ્વસ્થ લાગે છે, કારણ કે તે ભાજપ પર દબાણ લાવવાની તેમની શક્તિને ક્ષીણ કરશે.બીજી તરફ, રાજકીય પંડિતોનું માનવું છે કે એનસીપીમાં ભાગલા થવાથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી જશે એટલું જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ તેની અસર પડશે અને વિપક્ષી એકતામાં તિરાડ જોવા મળી શકે છે.
અજિત પવારની સાથે સાથે કેટલાક ધારાસભ્યો પણ એકનાથ શિંદે જુથમાં જોડાયા છે.એનસીપીમાં અજિત પવારે બળવો કર્યા બાદ શરદ પવાર નાશિકના યેવલામાં પક્ષમાં પોતાની પકડને મજબૂત કરવા શક્તિપ્રદર્શન કર્યું હતું.આ સમયે તેમણે અહીંના મતદારોની માફી માગી હતી.આમ કરીને આડકતરી રીતે તેમણે છગન ભુજબળને અહીંથી ચાર વખત ઉમેદવારી આપી હોવાનો અફસોસ વ્યક્ત કરીને તેમને નિશાના પર લીધા હતા.
બીજી બાજુ શરદ પવારના આ નિવેદન વિશે છગન ભુજબળે કહ્યું કે એનસીપીના મારા સહિતના 40 વિધાનસભ્યો અજિત પવાર સાથે ગયા છે એટલે શરદ પવારસાહેબે આ તમામ 40 વિધાનસભા મતદારક્ષેત્રમાં જઈને માફી માગવી પડશે.શું તેઓ આવું કરશે? આમ કહી તેમણે શરદ પવારના નિવેદન પર વળતો જવાબ આપ્યો હતો.