અદાણીનો એરપોર્ટ બિઝનેસ શરૃઆતથી જ વિવાદમાં રહ્યો છે. એરપોર્ટના નામ અંગેનો વિવાદ શાંત પડ્યો છે ત્યાં અદાણીને એરપોર્ટ 1300 કરોડને બદલે માત્ર 500 કરોડમાં વેચી દેવાનો આક્ષેપ થયો છે.આ આક્ષેપ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઈ)ના કર્મચારીઓએ કર્યો છે. ૨જી ઓકટોબરે વડા પ્રધાનને લખેલા પત્રમાં એરપોર્ટ ઓથોરિટી કર્મચારીઓના યુનિયને ધ્યાન દોર્યું છે કે સિવિલ એવિયેશન મંત્રાલયે જ્યારે સરકારની પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ અપ્રેઝલ કમિટી પાસે મંજૂરી માગી ત્યારે મિલકતનું મૂલ્ય રૃા. ૧,૩૦૦ કરોડ આંકવામાં આવ્યું હતું પણ અદાણી એન્ટર પ્રાઈઝીસ લિમિટેડ (AEL)એ જ્યારે મેંગલુરુ,લખનઉ અને અમદાવાદ એરપોર્ટ ગયા વર્ષે હસ્તગત કર્યા ત્યારે તેને માત્ર રૃા. ૫૦૦ કરોડમાં વેંચી નાખવામાં આવી હતી. ટૂંકમાં એરપોર્ટનું મૂલ્ય 1300 કરોડ હોવા છતાં અદાણીને 800 કરોડ ઓછા ભાવમાં આપી દેવાયા હોવાનો આક્ષેપ થયો છે.
આ આક્ષેપ વળી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના કર્મચારીઓના યુનિયને કર્યો છે. એરપોર્ટ ઓથોરિટી એ સિવિલ એવિએશન મંત્રાલયના તાબામાં આવતી કંપની છે. દેશના બધા એરપોર્ટ તેના તાબામાં આવે છે.ડિસેમ્બર ૨૦૧૮માં એએઆઈ દ્વારા કુલ છ એરપોર્ટ માટે બિડ મંગાવવામાં આવી હતી. ફેબ્રુઆરી ૨૦૧૯માં અદાણીને સૌથી ઊંચા બિડર તરીકે જાહેર કરાયા હતા.છ એરપોર્ટમાંથી ત્રણ એરપોર્ટ એઈએલને ટ્રાન્સફર કરી દેવાયા છે.બાકીના ત્રણ આ મહિને આપી દેવામાં આવે એવી સંભાવના છે.
એએઆઈએ તેની સ્થાપના થઈ ત્યારથી પહેલી જ વાર ગત નાણાંકીય વર્ષમાં ખોટ દેખાડી છે ત્યારે આ આક્ષેપો કરાયા છે.ગયા વર્ષે એએઆઈ દ્વારા રૃા. રૃા. ૨,૮૧૪ કરોડની ખોટ દેખાડવામાં આવી છે જ્યારે નાણાંકીય વર્ષ ૨૦૨૦માં તેણે રૃા. ૧,૯૮૫ કરોડનો લાભ કર્યો હતો.એઈએલ અને એએઆઈ વચ્ચે થયેલા કરાર મુજબ મેંગલુરુ,લખનઉ અને અમદાવાદમાં એરપોર્ટ ખાતે આવેલી એરોનોટિકલ અને નોન-એરોનોટિકલ મિલકતો માટે રૃા. ૭૪.૫ કરોડ, રૃા. ૧૪૭ કરોડ અને રૃા. ૨૭૭ કરોડ ચુકવવાના હતા.જો કે આ રકમની સરખામણી સિવિલ મંત્રાલયે પ્રસ્તાવ સમયે કરેલા અનુમાન કરતા મેંગલુરુ એરપોર્ટ માટે ૮૦ ટકા, લખનઉ એરપોર્ટ માટે ૭૫ ટકા અને અમદાવાદ એરપોર્ટ માટે ૨૮ ટકા ઓછી હોવાનો યુનિયનનો દાવો છે.
૧૧મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ યોજાયેલી મીટિંગમાં થયેલી ચર્ચા સમયે મેંગલુરુ એરપોર્ટની મિલકત રૃા. ૩૬૩ કરોડ, લખનઉ એરપોર્ટની રૃા. ૫૮૩ કરોડ અને અમદાવાદ એરપોર્ટની મિલકત રૃા. ૩૮૪ કરોડ આંકવામાં આવી હતી.એઈએલએ આ આક્ષેપોને ફગાવતા સ્પષ્ટતા કરી છે કે તમામ બિડરોને અપાયેલા બિડ દસ્તાવેજો મુજબ વિશેષાધિકારીએ ૩૧-૩-૨૦૧૮ મુજબ એએઆઈ દ્વારા કરાયેલા રોકાણની રકમ ચુકવવાની હતી.આ રકમ સંબંધિત કન્સેશન એગ્રીમેન્ટમાં અગાઉથી નક્કી કરાયેલી હતી. આ ખર્ચા અદાણીએ ચુકવી દીધા હતા.ઉપરાંત વિશેષાધિકારીએ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી કરાયેલા કાર્ય માટે એએઆઈ દ્વારા કરાયેલા વધારાના ખર્ચ પણ પાછા આપવાના હતા.
ઉલ્લેખનીય છે અદાણી સાથે થયેલા આ સોદા બાબતે અગાઉ પણ વિવાદ સર્જાયો હતો જ્યારે એક જ કંપનીને તમામ એરપોર્ટ ન વેંચવાનું સુચન તે સમયના આર્થિક બાબતોના સચિવ સુભાષ ગર્ગે ફગાવી દીધું હતું જેના કારણે અદાણીને તમામ છ એરપોર્ટ મળી ગયા.કર્મચારીઓના યુનિયને આ મુદો પણ તેમના પત્રમાં ઉપસ્થિત કર્યો છે.તેમણે વડા પ્રધાનને બાકીના ત્રણ એરપોર્ટના ટ્રાન્સફર પર સ્ટે મુકવાની અપીલ કરી છે અને આ સમગ્ર સોદાની ન્યાયિક તપાસ યોજવાની માગણી કરી છે.

