– કોરોનાકાળના પગરણ વખતે આલબુલા,ક્રેસ્ટા તથા એપીએમએસ ફંડ નાના હતા- 2000-2500 કરોડની નેટવર્થ હતી,તે સવા વર્ષમાં વધીને 12000 થી 14000 કરોડ પહોંચી ગઈ
– ત્રણેય ફંડોનું 95 ટકા કે વધુનુ હોલ્ડીંગ માત્ર અદાણી ગ્રુપની 3-4 કંપનીઓમાં જ છે: શેરબજારનાં વિવિધ વર્ગોમાં અનેકવિધ શંકાસ્પદ સવાલો વચ્ચે વિવિધ ચર્ચા
મુંબઈ તા.15 : અદાણી ગ્રુપની કંપનીઓમાં અબજો રૂપિયાનું રોકાણ ધરાવતાં ત્રણ વિદેશી ફંડોના ખાતા એનએસડીએલ દ્વારા સ્થગિત કરાયાનાં વિવાદ વચ્ચે હવે એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે સવા વર્ષ પુર્વે બહુ મામુલી નેટવર્થ ધરાવતાં આ ત્રણેય ફંડોનો સુરજ છેલ્લા ટુંકા ગાળામાં જ ચમકયો છે.એક શંકાસ્પદ બાબત એ પણ છે કે મોરેશીયસ સ્થિત ત્રણેય ફંડોની ઓફિસનાં સરનામા એક જ છે.ત્રણેય ફંડોનું 95 ટકા કે તેથી વધુ રોકાણ માત્ર અદાણી ગ્રુપની કંપનીઓનાં શેરોમાં જ છે.
મોરેશીયસ સ્થિત આલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડ,ક્રેસ્ટા ફંડ,તથા એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડના ખાતા સ્થગિત કરાયાના રિપોર્ટ જાહેર થયા હતા.આ ફંડોનું અદાણી ગ્રુપનાં શેરોમાં 43500 કરોડનું રોકાણ હોવાનું બહાર આવ્યું હતું.આ રીપોર્ટનાં શેરબજારમાં તીવ્ર પડઘા પડયા હતા.જયારે અદાણી ગ્રુપ ઉપરાંત એનએસડીએલ દ્વારા પણ આ વાતને પાયાવિહોણી અને ખોટી ગણાવી હતી.ત્રણેય ફંડના ખાતા ચાલુ જ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
અદાણી ગ્રુપમાં મોટુ રોકાણ ધરાવતાં ફંડોના ખાતા વિશે ચોખવટ થઈ જતા શેરબજારમાં તથા ઈન્વેસ્ટરોમાં હાશકારો અનુભવાયો હોવા છતાં કેટલાંક મુદ્દાઓને શંકાસ્પદ ગણવા સામે માર્કેટમાં ચર્ચાનો વિષય બન્યા છે.માર્ચ 2020 થી સિતારો ચમકયો એક ચોંકાવનારૂ તથ્ય એ છે કે ત્રણેય ફંડનો સિતારો છેલ્લા સવા વર્ષમાં જ ચમકયો છે.અન્યથા તેની ગણના સામાન્ય નાના ફંડમાં જ થતી હતી. ભારત સહીત સમગ્ર વિશ્વ કોરોનાના કોપથી બેહાલ બન્યુ હતું અને લોકો લોકડાઉનને કારણે લોકોની આજીવિકા ઝુંટવાઈ ગઈ હતી.ત્યારથી આ ફંડનો સિતારો ચમકવો શરૂ થયો હતો.
આલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડનું નેટવર્થ માર્ચ 2020 માં માત્ર 2051 કરોડ હતું તે હાલ 14 જુન 2021 ની સ્થિતિએ 13242.71 કરોડ થયુ છે.ક્રેસ્ટા ફંડનુ નેટવર્થ માર્ચ 2020 માં 2468 કરોડ હતું તે 14 જુન 2021 ના 13584.79 કરોડે પહોંચ્યુ હતું.
એપીએમએસ ઈન્વેસ્ટમેન્ટ ફંડનું નેટવર્થ માર્ચ 2020 માં 2329 કરોડ હતું તે 21 જુન 14776.58 કરોડ થયુ છે.સવા વર્ષનાં ટુંકા ગાળામાં ત્રણેય કંપની નેટવર્થ છ ગણી જેટલી વધી ગઈ છે તેનાથી ભલભલા નિષ્ણાંતોની આંખો પણ પહોળી થઈ જાય તેમ છે.
રસપ્રદ વાત એ છે કે ત્રણેય ફંડોનું 85 ટકા કે તેથી વધુનુ રોકાણ અદાણી ગ્રુપની કંપનીઓમાં જ છે.આલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંડના 13242 કરોડના નેટવર્થમાંથી અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં જ 12500 કરોડનુ રોકાણ છે.ક્રેસ્ટા 13584 કરોડના નેટવર્થમાં અદાણી ગ્રુપની ત્રણ કંપનીઓનો હિસ્સો 95 ટકા જેવો છે.એપીએમએસ પણ નેટવર્થમાં 95 ટકા અદાણી ગ્રુપની ચાર કંપનીઓમાં 95 ટકાનું રોકાણ ધરાવે છે.સવા વર્ષમાં નેટવર્થમાં છ ગણી વૃધ્ધિ અને તે પણ કોરોના કાળમાં તે બાબત આશ્ર્ચર્યજનક છે અને બ્રોકરો-ઈન્વેસ્ટરોના મનમાં અનેકવિધ સવાલ સર્જે છે.
લોન ડીફોલ્ટર-ફરાર સાંડેસરાની સ્ટર્લીંગ બાયોટેકમાં પણ રોકાણ
બેંક ડીફોલ્ટર થયેલા અને ભારતમાંથી નાસી ગયેલા કોર્પોરેટ ગ્રુપ સ્ટર્લીંગ બાયોટેકનાં સાંડેસરા બંધુની કંપનીમાં પણ આલબુલા ઈન્વેસ્ટમેન્ટ ફંગનું રોકાણ હોવાનું બહાર આવ્યું છે.સ્ટર્લીંગ બાયોટેકમાં ફંડ એક કરોડનું રોકાણ ધરાવતુ હોવાનું બહાર આવ્યું છે.
ત્રણેય ફંડના મોરેશિયસનાં સરનામા એક જ છે
મોરેશિયસ સ્થિત ત્રણ ફંડ અદાણી વિવાદને કારણે ચર્ચામાં આવ્યા છે ત્રણેય ફંડનો સિતારો અદાણી ગ્રુપમાં રોકાણથી જ ચમકયો હોય તેમ સવા વર્ષમાં નેટવર્થ અંદાજીત છ ગણી વધી છે.શેરબજાર સાથે સંકળાયેલા વર્ગમાં શંકા પ્રેરે તેવી એક હકીકત એવી પણ છે કે ત્રણેય ફંડનાં સરનામા એક જ છે. ‘ઈથ કનેલ સ્ટ્રીટ,પોર્ટ લુઈસ,મોરેશીયસથી એક જ ઓફીસમાંથી સંચાલન થતુ હોવાનુ સુચક અને અનેકવિધ શંકા ઉપજાવનાર છે.