નવી દિલ્હી, તા. ર૦ : દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના કેસોથી કેટલાય રાજયોમાં પ્રતિબંધો લગાવી દેવાના કારણે લોકડાઉન જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ છે. દેશમાં કોરોના વાયરસના કારણે મરનારાઓની સંખ્યા ૪ થઇ ગઇ છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોના વાયરસથી ચોથુ મોત પંજાબમાં થયું છે.દેશકમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા ૧૯પ થઇ ગઇ છે.છેલ્લા ર૪ કલાકમાં ર૦ નવા કેસો જાહેર થયા છે. આરોગ્ય મંત્રાલયે ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બધા બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે સાથે જ જન પ્રતિનિધિઓ,સરકારી કર્મચારીઓ અને આરોગ્ય કર્મચારીઓ સિવાયના ૬પ વર્ષથી વધુ વયના અન્ય નાગરિકોને ઘરમાં જ રહેવાની સલાહ અપાઇ છે.મંત્રાલય અનુસાર હજુ સુધી દેશમાં કોરોના વાયરસનો સામૂદાયિક પ્રસાર નથી થયો.ફાર્મા વિભાગ અને ગ્રાહક મંત્રાલય માસ્ક અને સેનેટાઇઝરની વધુ કિંમત લેતા લોકો સામે કાર્યવાહી કરશે.ભારતીય રેલ્વે એ બીનજરૂરી પ્રવાસ ટાળવા માટે રોગીઓ,વિદ્યાર્થીઓ અને દિવ્યાંગજન શ્રેણી સિવાયની બધી ટીકીટો પરના કન્સેશનો ર૦ માર્ચથી હવે પછીના આદેશ સુધી રદ કરવાનો નિર્ણય કર્યો છે.મધ્ય રેલ્વે અને પશ્ચિમ રેલ્વેએ આજથી મુંબઇમાં વાતાનુકુલિત લોકલ ટ્રેનો બંધ કરવાનો નિર્ણય લીધો છે.કેરળ સરકારે કોરોના સામે લડવા ર૦ હજાર કરોડ રૂપિયાના ખાસ પેકેજની જાહેરાત કરી છે.દેશની સૌથી મોટી વિમાન કંપની ઇન્ડીગોએ કહ્યું છે કે તે પોતાના સીઇઓ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓના વેતનમાં રપ ટકાનો કાપ મૂકશે.ઘણા રાજયોએ મંદિરો અને અન્ય પૂજા સ્થળોને બંધ કરવાનો આદેશ આપ્યો છે.રાજધાની દિલ્હીમાં સામાજીક,સાંસ્કૃતિક,રાજકીય સભાઓમાં ર૦થી વધારે લોકોને ભેગા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.શહેરમાં રેસ્ટોરન્ટો બંધ કરવામાં આવ્યા છે.જો કે હોમ ડીલીવરી ચાલુ રહેશે.મુખ્ય પ્રધાન કેજરીવાલે કહ્યું કે જે લોકોને આઇસોલેશનમાં રહેવાનું કહેવાયું છે.તેમણ નિયમોનું પાલન કરવું જોઇએ.નહીંતર કડક કાર્યવાહી કરાશે.