મુંબઇ : એનસીપીના મોભી શરદ પવાર વિશે સોશ્યલ મિડિયામાં અત્યંત વાંધાજનક પોસ્ટ મૂકવા બદલ પકડાયેલી અભિનેત્રી કેતકી ચિત્તળેને આજે થાણેની કોર્ટે એટ્રોસિટિઝના જૂના કેસમાં જામીન મંજૂર કર્યા હતા.છતાં તેણે જેલમાં જ રહેશે,કારણ કે તેની સામે નોંધાયેલા બીજા કેસમાં જામીન અરજીની સુનાવણી ૨૧મી જૂને થવાની છે.
થાણેની કોર્ટે કેતકીને આજે ૨૫ હજારની શ્યોરિટી પર જામીન આપ્યા હતા. કેતકીને ૨૦૨૦ના એટ્રોસિટીના કેસમાં જામીન મંજૂર થયા હતા.ફિલ્મ અને ટીવીની અભિનેત્રી કેતકીની ગઈ ૧૪મી મેના રોજ પોલીસે ધરપકડ કરી હતી.તેની વિરુદ્ધ ઇન્ડિયન પિનલ કોડની જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધવામાં આવ્યા છે.એનસીપી નેતા શરદ પવાર વિશે કેતકીએ ફેસબુકમાં કવિતાના સ્વરૃપમાં વાંધાજનક પોસ્ટ મૂકેલી હતી. જેમાં નરક તમારી રાહ જુએ છે. અને તમે બાહ્યપણોને ધિક્કારો છો…એવા વાક્યો લખેલા હતા.ગયા અઠવાડિયે નવી મુંબઈ પોલીસે કેતકી વિરુદ્ધ ૨૦૨૦ના એસસી/એસટી (પ્રિવેન્શન ઓફ એટ્રોસિટીજ એક્ટ) કેસ સંદર્ભે ચાર્જશીટ દાખલ કરી હતી.આ અગાઉ કેતકી ચિત્તળેએ બોમ્બે હાઇ કોર્ટમાં ધા નાખી હતી અને તેની વિરુદ્ધના કેસની તપાસ સામે સ્ટેની માગણી કરી હતી.