(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, મંગળવાર : રહેઠાણની સ્કીમો માટે ડેવલપર્સ દ્વારા ખરીદવામાં આવતી વધારા એફએસઆઈના ચૂકવવામાં આવતા નાણાં પર પહેલા દિવસથી જ અમ્યુકોના સત્તાવાળાઓ દ્વારા વસૂલવામાં આવતું વ્યાજને કારણે ડેવલપર્સ અને બિલ્ડર લોબીમાં ખાસ્સી નારાજગી હોવાનું જાણવા મળી રહ્યું છે.નવાઈની વાત તો એ છે કે રાજકોટ નગરપાલિકામાં ૧૮ મહિનાના છ હપ્તામાં ચૂકવાતી આ રકમ પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી,જ્યારે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન પહેલા દિવસથી જ ૧૫થી ૧૬ ટકાના દરે વ્યાજ વસૂલે છે.ટ્રાન્ઝિટ ઓરિયેન્ટલ ઝોનમાં એટલે કે જે માર્ગ પરથી મેટ્રો કે બીઆરટીએસ પસાર થતી હોય તેવા ઝોનમાં વધાારની જંત્રી આપવામાં આવે છે.
સામાન્ય રીતે આ ઝોનમાં ૧.૮ની એફએસઆઈ આપવામાં આવે છે.તેના પર ચારની એફએસઆઈથી બાંધકામ કરવા માટે ડેવલપર્સે વધારાની ૨.૨ની એફએસઆઈ લેવી પડે છે.આ વધાારની એફએસઆઈ માટે જંત્રીના ભાવના ૧૦થી માંડીને ૪૦ ટકાના પ્રમાણમાં નાણાં વસૂલવામાં લેવામાં આવે છે. ૫૦ ચોરસ મીટરના બિલ્ટ અપ એરિયા માટે જંત્રીની કિંમતના ૧૦ ટકા, ૫૧થી ૬૬ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૨૦ ટકા અને ૬૭ ચોરસ મીટરથી ૯૦ ચોરસ મીટરના બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦ ટકા રકમ એફએસઆઈ ખરીદવા માટે ચૂકવવી પડે છે.કોમર્શિયલ કે રેસિડેન્સિલ કેટેગરીના કોઈપણ બાંધકામ માટે જંત્રીની કિંમતના ૪૦ ટકા રકમ એફએસઆઈ પેટે વલૂસવામાં આવે છે.તેમ જ પ્લાન પાસ કરવામાં આવે તે તબક્કે જ આ રકમ માગી લેવામાં આવે છે.કેટલાક ડેવલપર્સ જણાવે છે કે રાજકોટમાં આ પ્રકારે આપવામાં આવતી વધારાની એફએસઆઈના હપ્તા પર કોઈ જ વ્યાજ લેવામાં આવતું નથી. આ સંજોગોમાં અમ્યુકો દ્વારા વ્યાજ લેવામાં આવે છે તે અનુચિત જ છે.
બીજું, વ્યાજ ચૂકવવાના ત્રણ ત્રણ માસના છ હપ્તા કરી આપવામાં આવે છે.આ હપ્તામાંથી જે હપ્તો મોડો ચૂકવવામાં આવે તે હપ્તાના વિલંબના દિવસો માટે વ્યાજ લે તો તે વાજબી ગણાય. આ તો પહેલા દિવસતી જ ૧૫થી ૬ ટકાના દરે વ્યાજની વસૂલી કરવામાં આવી રહી છે તે અયોગ્ય અને અન્યાય કર્તા છે.બીજું,પહેલા સામાન્યપણે મળતી ૧.૮ની એફએસઆઈ વપરાઈ જાય અને ત્યારબાદ ૨.૨ની વધારાની એફએસઆઈનો ઉપયોગ ચાલુ કરવામાં આવે તે તબક્કે તેમની પાસેથી નાણાંની માગણી કરવામાં આવવી જોઈએ.પહેલાથી પૂરા નાણાં માગી લેવા ઉચિત નથી.પ્લાન પાસિંગ વખતે જ ચાાર્જ લઈ લેવામાં આવતા હોવાથી કન્સ્ટ્રક્સન કોસ્ટમાં વધારો થઈ જાય છે.આ ખર્ચ ઓછો આવશે તો નવા પ્રોજેક્ટ પણ વધુ ઝડપથી હાથ પર લઈ શકાશે.
અમ્યુકોના આ વલણને પરિણામે બાંધકામનો ખર્ચ ઊંચો જાય છે અને મિલકતો ખરીદનારાઓને મોંઘી પડી રહી છે.આ મુદ્દે બિલ્ડર લોબી મુખ્યમંત્રીને રજૂઆત કરવાની તૈયારી કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.


