શહેરમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે.ત્યારે વરાછા-એ ઝોનમાં ફુલપાડા રેલવે ગરનાળાથી લઈને સરસ્વતી સર્કલથી વલ્લભાચાર્ય મેઇન રોડથી હીરાબાગ સર્કલથી મેઇન રોડ થઈ કાપોદ્રા ચાર રસ્તાથી કાપોદ્રા ઉતરાણ બ્રિજનો નદીકિનારા બાજુનો તમામ વિસ્તાર ફરજિયાત હોમ ક્વૉરન્ટીન કરાયો છે જેમાં આવતાં કુલ ૨૪,૮૬૭ ઘરોમાં રહેતા ૧,૦૭,૭૫૫ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત હોમ ક્વૉરન્ટીનમાં રહેવા પાલિકા કમિશનરે જાહેરનામું પ્રસિદ્ધ કરી આદેશ કર્યો છે. જ્યારે ઉધના ઝોનમાં પણ ૩૧ હજાર લોકોને ફરજિયાત હોમ ક્વૉરન્ટીન કરાયા છે.
ઉધના ઝોનના ભેસ્તાન એચ-૧૫ આવાસના એ-૪૨થી એ-૪૪ અને એ-૪૯થી એ-૫૧માં આવેલાં ૯૬ ઘરોમાં રહેતા ૫૦૦ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરાયા હતા જેમાં ફેરફાર કરીને હવેથી એચ-૧૫ આવાસના એથી ઈ બ્લૉકમાં આવેલાં કુલ ૪૨૦ બિલ્ડિંગમાં આવેલાં ૬૮૮૬ ઘરોમાં રહેતા ૩૧,૮૬૨ લોકોને ક્લસ્ટર તરીકે જાહેર કરી બીજો હુકમ ન થાય ત્યાં સુધી ફરજિયાત ક્વૉરન્ટીનમાં રહેવા આદેશ કર્યો છે. રાંદરે બાદ લિંબાયત, વરાછા-એ અને ઉધના ઝોનમાંથી વધુ કેસ મળતાં આ વિસ્તારમાં સંક્રમણ વધારે ફેલાય નહીં એ માટે વધારે વિસ્તારો ક્લસ્ટર જાહેર કરાયા છે. અત્યાર સુધીમાં સુરત શહેરમાં ૨૮થી વધુ વિસ્તારોને ક્લસ્ટર જાહેર કરાયા છે.
સુરતમાં કોરોના મૃત્યુઆંક કરતાં રિકવર થનારાની સંખ્યામાં ધરખમ વધારો
અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કુલ ૬૬૯ કેસ પૉઝિટિવ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી પાલિકાના જણાવ્યા પ્રમાણે ગઈ કાલ સુધીમાં ૩૦ વ્યક્તિનાં મોત નીપજ્યાં છે. જ્યારે ગઈ કાલ સુધીમાં ૧૩૬ દરદીઓને રજા આપી દેવામાં આવી છે. ગત રોજ નવા નોંધાયેલા ૧૭ કેસમાં સિવિલ હૉસ્પિટલના સ્ટાફ નર્સ, વ્યંડળ, તાતા કન્સલ્ટન્સી કંપનીના એન્જિનિયર તેમ જ એક પરિવારનાં માતા-પુત્રનો પણ સમાવેશ થયો છે.
કોરોનાનો રિપોર્ટ પૉઝિટિવ આવ્યા બાદ સિવિલ હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહેલા બે મહિનાની બાળકી સહિત કુલ ૫૮ પૉઝિટિવ દરદીઓ સાજા થતાં શનિવારે તેમને રજા આપવામાં આવી હતી.અત્યાર સુધીમાં પહેલી વખત સૌથી વધુ ૫૮ દરદીઓને એકસાથે રજા આપવામાં આવી હતી. સુરત જિલ્લામાં મોતનો આંકડો ૩૦ પર પહોંચ્યો છે,જ્યારે રિકવર થનારનો આંક ૧૩૬ પર પહોંચ્યો છે. એથી મોતની સામે રિકવરીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.
શહેરના ૩૩ ટકાથી વધુ કોરોના મોત જમાલપુરમાં જ થયા
કોરોના વાઇરસે ગુજરાતમાં સૌથી વધારે અમદાવાદ શહેરમાં હાહાકાર મચાવ્યો છે.શહેરમાં લૉકડાઉન હોવા છતાં પણ દૈનિક ધોરણે કોરોના સંક્રમણના કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંકમાં પણ વૃદ્ધિ જોવા મળી રહી છે.શહેરની આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે આજે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન કમિશનર વિજય નેહરાએ પ્રેસ-કૉન્ફરન્સ કરી મહત્ત્વની માહિતી આપી છે.પ્રેસ- કૉન્ફરન્સમાં નેહરાએ કહ્યું કે કેન્દ્રે માર્ગદર્શક સૂચનાઓ આપી છે.એ સૂચનાઓ આજે રાજ્ય સરકાર બહાર પાડશે. આ સાથે તેમણે મણિનગર વૉર્ડને કન્ટેનમેન્ટ વૉર્ડ જાહેર કર્યો છે.એટલે કે મણિનગર વિસ્તાર હવે રેડ ઝોનમાં સામેલ થયો છે.આ સાથે શહેરમાં હવે વધુ એક વૉર્ડ રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
નેહરાએ કહ્યું કે ૧૦ કન્ટેનમેન્ટ વૉર્ડ માટે ખાસ સિનિયર અધિકારીઓની નિમણૂક કરાઈ છે.અમદાવાદમાં અત્યાર સુધી ૧૦ વૉર્ડ રેડ ઝોનમાં છે. આવા ૧૦ વૉર્ડ માટે ૧૦ અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.નેહરાએ કહ્યું કે શહેરમાં લૉકડાઉનનું સંપૂર્ણ રીતે પાલન નથી થતું.તેથી આ અધિકારીઓ પોલીસ સાથે સંકલન કરશે અને લૉકડાઉનના નિયમોનું પાલન કરવા માટે કામગીરી કરશે. આ અધિકારીઓ આગેવાનોને સંપૂર્ણ માહિતી આપશે.ઉપરાંત તેમણે માહિતી આપી કે કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને શહેરમાં ગાંધી બ્રિજ, નેહરુ બ્રિજ, દધિચી બ્રિજ, સરદાર બ્રિજ બંધ કરાયા છે. નેહરાએ કહ્યું કે આ સાથે અમદાવાદમાં કુલ પાંચ બ્રિજ પર અવરજવર બંધ કરવામાં આવી છે.
જ્યારે સુભાષ બ્રિજ અને એલિસ બ્રિજ પર હાલ વાહનવ્યવહાર ચાલુ રહેશે.આ સાથે વિજય નેહરાએ કોટ વિસ્તાર,જ્યાં કોરોનાનું જોખમ વધુ છે ત્યાંના લોકોને લૉકડાઉનનું પાલન કરવા અને કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે.નેહરાએ જમાલપુર વૉર્ડના નાગરિકોને ખાસ અપીલ કરી છે, કારણ કે ત્યાં કોરોનાનો મૃત્યુઆંક વધારે છે.