અમદાવાદ : કોરોના વાયરસની મહામારીએ તમામ ઉત્સવોની ઉજવણી ઉપર ગ્રહણ લગાડ્યુ છે.દિવાળી અને થર્ડી ફર્સ્ટ બાદ ગુજરાતના લોકપ્રિય અને વિશ્વ પ્રખ્યાત પતંગોના મહોત્સવ એવા ઉત્તરાયણ અંગે અમદાવાદના પોલીશ કમિશનર દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે અને તે અંગે સત્તાવાર જાહેરનામું પણ બહાર પાડવામં આવ્યુ છે.જેમાં ઉત્તરાયણ પતંગ ઉડાવવા સંબંધિત નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને તેનો ભંગ કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ અપાઇ છે.
ઉત્તરાયણ સંદર્ભે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કલમ-૧૪૪ હેઠળ જારી કરેલા જાહેરનામામાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું પાલન કરવાની તાકીદ કરવામાં આવી છે તેમજ રસ્તાઓ,ફૂટપાથ તેમજ ભયજનક ધાબાઓ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ઉત્તરાયણ સંદર્ભે ૨૮મી ડિસેમ્બરની મધરાતથી ૧૬મી જાન્યુઆરીની મધરાત સુધી અમલમાં રહેનારા જાહેરનામા મુજબ જાહેર રસ્તાઓ,ફૂટપાથ અને ભયજનક ધાબાઓ પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આસપાસના લોકને અગવડતા થાય તેવી રીતે લાઉડસ્પીકર વગાડવા પર તેમજ લાગણી દુઃભાય તેવી લખાણો લખેલી પતંગ ઉડાવવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કપાયેલા પતંગો લૂંટવા દોડાદોડી કરવા પર,જાહેર રસ્તા પર ગાય તેમજ અન્ય પશુઓને ઘાસચારો ખવડાવવા પર,ટેલિફોન અને વીજળીના તાર પર ફસાયેલી પતંગો લેવા માટે લંગર કે વાંસડાઓનો ઉપયોગ,ચાઇનીઝ દોરી-તુક્કલના ખરીદ-વેચાણ અને ઉપયોગ ન કરવાની સૂચના પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.કોરોના વાયરસની માહામીરી સંદર્ભે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી વિવિધ ગાઇડલાઇનનું ઉત્તરાયણના તહેવાર દરમિયાન ચુસ્તપણે પાલન કરવાની સૂચના જાહેરનામામાં આપવામાં આવી છે.