અમદાવાદ : રવિવાર,5 જુન,2022 : અમદાવાદ શહેરમાં છેલ્લા લાંબા સમયથી રખડતા કૂતરાંનો ત્રાસ વધી ગયો છે.રાત્રિના અંધકારમાં એકલદોકલ લોકો પગપાળા પોતાના ગંતવ્ય સ્થાન સુધી જતા પણ કૂતરાંના ભયના કારણે ડર અનુભવી રહ્યા છે.બીજી તરફ છેલ્લા એક વર્ષમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ૩૦૩૬૦ રખડતા કૂતરાનાં ખસીકરણ પાછળ ૨.૭૭ કરોડથી વધુની રકમનો ખર્ચ કરાયો છે.શહેરમાં વર્ષ-૨૦૧૯ના એક સર્વે મુજબ ૨.૧૦ લાખ રખડતા કૂતરા છે.દર મહિને પાંચ હજાર લોકોને રખડતા કૂતરાં કરડે છે.આમ છતાં ખસીકરણની કામગીરીને લઈ તંત્રની ઢીલી નિતી જોવા મળી રહી છે.
એ.બી.સી.ડોગ રુલ્સના નિયમની જોગવાઈ હેઠળ અમદાવાદ શહેરમાં છેલ્લા વીસ વર્ષથી રખડતા કૂતરા પકડી તેના ખસીકરણની કામગીરી સ્વૈચ્છીક સંસ્થાઓ પાસેથી કરાવવામાં આવી રહી છે.રખડતા કૂતરાઓને પકડી તેનું ખસીકરણ કરવા માટે એજન્સીને એક કૂતરા દીઠ ૯૩૦ રુપિયા ચૂકવવામાં આવી રહ્યા છે.આમ છતાં શહેરના તમામ વિસ્તારોમાં રખડતા કૂતરાઓ અંગેની ફરિયાદોનું પ્રમાણ સતત વધી રહ્યુ છે.વર્ષ-૨૦૧૯માં એક સંસ્થા દ્વારા શહેરમાં રખડતા કૂતરા અંગે કરવામાં આવેલા સર્વેમાં રખડતા કૂતરાઓની સંખ્યા ૨.૧૯ લાખ હોવાનું સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.
શહેરમાં રખડતા પશુઓના ત્રાસને નિયંત્રિત કરવા કડક કાર્યવાહી કરવા હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશ બાદ પણ હાલમાં પરિસ્થિતિ એવી છે કે,શહેરીજનો રખડતા કૂતરા કે અન્ય પશુ કઈ દિશામાંથી આવીને તેમના ઉપર પ્રહાર કરશે એની કલ્પના પણ તેઓ કરી શકતાનથી.મ્યુનિ.ના આરોગ્ય વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે, શહેરમાં દર મહિને રખડતા કૂતરાં કરડવાના પાંચ હજાર બનાવ બને છે.બીજી તરફ જે સંસ્થાઓને રખડતા કૂતરાં પકડીને તેનું ખસીકરણ કરવાની કામગીરી સોંપવામાં આવી છે.તે કૂતરાંને ખસીકરણ કર્યા બાદ ફરી એના એજ વિસ્તારમાં છોડી દેતી હોવાની પણ ફરિયાદો છે.મ્યુનિ.હસ્તકની હોસ્પિટલોમાં કૂતરા કરડયા બાદ વ્યકિતને હડકવા ના થાય એ માટે ઈન્જેકશન આપવામાં આવે છે.એક એજન્સીને મહિને ૨૭૦૦ રખડતા કૂતરાં પકડવાના હોય છે
અમદાવાદ શહેરમાં રખડતા કૂતરા પકડી તેના ખસીકરણ માટે ચાર અલગ અલગ સંસ્થાઓને કામગીરી સોંપવામાં આવેલી છે.આ સંસ્થાઓને સંસ્થા દીઠ દર મહિને ૨૭૦૦ કૂતરાં પકડી તેનું ખસીકરણ કરવાની કામગીરી આપવામાં આવી છે.જે એજન્સી તેને આપવામાં આવેલા ટારગેટ મુજબ,કૂતરાં પકડી તેનું ખસીકરણ કરતી ના હોય એ એજન્સી કે સંસ્થાને ટેન્ડરમાં મુકવામાં આવેલી શરત મુજબ પેનલ્ટી કરવામાં આવતી હોય છે.