સુરત : અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે.વધતા જતા કેસને ધ્યાને લઈને સાંજના 7 વાગ્યા બાદ પાનના ગલ્લા,ચાની લારી બંધ રાખવા માટે તંત્રએ આદેશ આપ્યો છે.રાત્રે 10 વાગ્યાથી સુરતમાં રાત્રી કર્ફ્યૂનો અમલ થશે. 9 વાગ્યાથી ખાણી પીણી,લારી તથા રેસ્ટોરાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત જો ભીડ થશે તો શાકભાજી માર્કેટ પણ બંધ કરાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.
સુરતમાં કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થતા કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા છે. ખાણી પીણીની તથા પાન ગલ્લાની લારીઓ પર તંત્રએ નિર્ણય લેતા લોકો પર એની સીધી અસર પડી શકે છે.પણ વધી રહેલા કેસને કારણે શહેરમાં ચિંતાનો એક માહોલ ઊભો થયો છે.ચાની લારી સાંજે સાત વાગ્યે બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.જોકે, તંત્રના આ નિર્ણયને કારણે વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી છે.વેપારીઓ કહે છે કે,આ નિર્ણય ખોટો છે.કારણ કે,સાત વાગ્યા બાદ જ ઘરાકી જોવા મળે છે.વેપારી કહે છે કે,સાંજના સાત વાગ્યાનો સમય ઘણો ખોટો છે.સુરતમાં સ્થાનિકો કહે છે કે, શું કોરોના માત્ર ગુજરાતમાં જ છે? કોરોનાને લઈને આ રાજકારણ છે? અત્યારે સંક્રમણની વાત કરીને ડરાવવામાં આવે છે.
અમદાવાદ બાદ સુરતમાં પણ જીમ,સ્પોર્ટ્સ ક્લબ બંધ કરાવી દેવામાં આવ્યા છે.જે નાના વેપારી છે એનું ગુજરાન કેમ ચાલશે? સરકાર જે તે વસ્તુ બંધ કરતા પહેલા એ વર્ગ વિશે તો વિચારે.આવા લોકો દૈનિક આવકમાંથી પેટિયું રડતા હોય છે. સ્થાનિકો ત્યાં સુધી કહે છે કે, રાજનેતાઓના મેળાવડામાં કોરોના નથી ફેલાતો? પણ શહેરમાં વધી રહેલા કેસ સામે તકેદારી અનિવાર્ય છે.ગેમ ઝોન,જીમ,ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ બંધ રાખવામાં આવશે.એવો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી સ્પષ્ટતા અનુસાર રાજ્યમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી.એટલે લોકડાઉન નહીં થાય. જ્યારે રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.અમદાવાદમાં AMTS અને BRTS બંને બંધ કરી દેવામાં આવ્યા છે.વધતા જતા કેસને લઈને તંત્ર એકાએક સક્રિય થઈ ગયું છે.