નઝીર વોરા અત્યાર સુધીમાં ચાર વખત ફરાર થયા બાદ ઝડપાઇ ચૂક્યો છે તેમજ પાંચ વખત પાસા હેઠળ જેલમાં જઈ ચૂક્યો છે.તેની વિરુદ્ધ 1994થી લઈને અત્યાર સુધીમાં હત્યાના પ્રયાસ,ધમકી,ખંડણી,સંપત્તિ હડપ કરી લેવી વગેરે મામલે કેસ નોંધાઈ ચૂક્યા છે.અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર નઝીર વોરાને પોલીસે જુહાપુરાથી પકડી લીધો છે.આ વખતે નઝીર વોરા પર એક મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.આ કેસ સાથે તેની ઉપર અત્યાર સુધીમાં કુલ 30 કેસ નોંધાયા છે ઉપરાંત અનેક વખત તેની ધરપકડ પણ થઇ ચૂકી છે.
નઝીર વોરા અને તેના સાથીઓ પર જુહાપુરાની જ એક મહિલા સમીમબાનું શેખને અપશબ્દો કહીને તેને જાનથી મારી નાંખવાની ધમકી આપવાનો આરોપ લાગ્યો છે.સતત ચાર મહિના સુધી નઝીર અને તેના સાથીદારો મહિલાને માનસિક ત્રાસ આપતા હોવાનું અને ધમકી આપતા હોવાનું કહેવાયું છે.જે બાદ વેજલપુર પોલીસે આ મામલે કાર્યવાહી કરી નઝીરની ધરપકડ કરી લીધી હતી અને રિમાન્ડ મેળવવા માટે તજવીજ હાથ ધરી હતી.કહેવાતો બિલ્ડર નઝીર વોરા નામચીન ગુંડો બની ગયો હતો અને તેની કુંડળી ગુનાઓથી ભરેલી છે.જુહાપુરામાં તેણે અનેક ગેરકાયદે બાંધકામો કર્યાં હતાં.જેમાંથી કેટલાંક ગેરકાયદે બાંધકામો તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમે નઝીરના તોડી પાડ્યા હતા.
નઝીર બિલ્ડર હોવાનું કહીને લોકોની જમીનો અને મિલકતો પચાવી પાડવાનું કામ કરે છે.તેણે સરકારી જમીનો પર દબાણ કરી મિલ્કતો ઉભી કરી લોકોને ભાડે આપી લાખોની કમાણી કરી લીધી હતી.અગાઉ પોલીસ અધિકારીઓ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો પરંતુ કડક અધિકારીઓ આવતા તેનું ન ચાલ્યું અને એક પછી એક કેસમાં ધરપકડ થવા માંડી હતી.નઝીર વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવતાં તે પત્ની સાથે ફરાર થઇ ગયો હતો.તે ખેડા નજીક સાસરે રહેતો હતો પરંતુ તેની વિરુદ્ધ વોરન્ટ ઈસ્યૂ કરવામાં આવતાં 2021માં આત્મસમર્પણ કરી દીધું હતું.જે બાદ તેને પાસા હેઠળ ભુજ જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.
નઝીર વોરા એક સમયે અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટર અબ્દુલ લતીફના જમણા હાથ ગણાતા અબ્દુલ વહાબ સાથે કામ કરતો હતો.જોકે, પછીથી તે અલગ થઇ ગયો હતો. 2012 માં નઝીર પર વહાબ ગેંગ દ્વારા ફાયરિંગ પણ થયું હતું.માત્ર નઝીર વોરા જ નહીં પરંતુ તેની પત્ની વિરુદ્ધ પણ કેસ નોંધાઈ ચૂક્યા છે. 2019 માં પાલડીના એક રહીશે નઝીર વોરાની પત્ની સાજેદા વોરા વિરુદ્ધ ધમકી આપવાનો આરોપ લગાવ્યો હતો.ફરિયાદી જુહાપુરામાં પ્લાસ્ટિકની ફેક્ટરી ચલાવતા હતા જે ખાલી કરી દેવા માટે તેમને ધમકી આપવામાં આવી હતી.સાજેદા અને તેના સાથીદારોએ ફેક્ટરી પર જઈને ધમકી આપી હતી અને જ્યારે ફરિયાદીએ પોલીસને જાણ કરી તો સાજેદા અને અન્યોએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.


