અમદાવાદ : મ્યુનિ. ચૂંટણી જીતવા માટે ભાજપ નેતાગીરીએ રાજકીય સમીકરણો અને જ્ઞાતિનાં સમીકરણ વગેરે પ્રકારનાં ગણિત ગણીને તેમજ ત્રણ ક્રાઇટેરિયા જાહેર કર્યા બાદ પડતા મુકાયેલાં ૧૦૮ કોર્પોરેટરોમાંથી ૬૨ને તો હજુ પણ તેમને કેમ કાપ્યા તે સમજાતું નથી અને પાર્ટીમાં કોઇને પૂછવાની હિંમત પણ કરી શકતા નથી.
શહેર ભાજપમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર,મ્યુનિ.ની આગામી ચૂંટણીમાં જંગી બહુમતિથી સત્તા હાંસલ કરવાના દ્રઢનિશ્ચય સાથે ઉમેદવાર પસંદગીમાં કડક વલણ અપનાવતાં નેતાગીરીએ ૬૦ વર્ષથી વધુ વયનાં,ત્રણ ટર્મ થઇ ગઇ હોય તેવાને તેમજ સંગઠનનાં હોદ્દેદારો અને વર્તમાન કોર્પોરેટરો-નેતાઓનાં પરિવારજનોને ટિકિટ નહિ આપવાની જાહેરાત કરી દીધી હતી.આ જાહેરાતનુ પાલન કરતાં નેતાગીરીએ સને ૨૦૧૫થી ૨૦૨૦ સુધીની ટર્મમાં ચૂંટાયેલાં ૧૪૨ કોર્પોરેટરોમાંથી ફક્ત ૩૪ને જ રિપિટ કર્યા હતા અને ત્રણ ટર્મ કે તેનાથી વધુ ટર્મ સુધી કોર્પોરેટર રહી ચૂકેલાં ૧૨ તથા ૬૦ વર્ષથી વધુ વયનાં હોય તેવા ૩૪ કોર્પોરેટરોને સાઇડલાઇન કરી દીધા હતા.
જોકે આશ્ચર્યજનક રીતે ભાજપ નેતાગીરીએ ત્રણ ક્રાઇટેરિયા લાગુ ન પડતાં હોય તેવા ૬૨ કોર્પોરેટરોને પણ રિપિટ નહિ કરતાં આ ૬૨ કોર્પોરેટરોની હાલત તો ક્રાઇટેરિયાથી કપાયેલાં કોર્પોરેટરો કરતાંય વધુ કફોડી બની જવા પામી છે અને તેઓ તેમને કયા કારણસર પડતા મુકાયા તે હજુ સમજી શકતા નથી.શોકમાં ગરકાવ થઇ ગયેલાં આ ૬૨ કોર્પોરેટરો આમ તો દેખાવ ખાતર પ્રચારકાર્યમાં જોડાયા છે,પરંતુ જયાંત્યાં દુઃખ વ્યકત કરતાં ફરી રહ્યાં છે.આ કોર્પોરેટરોની પાંચ વર્ષની કામગીરી નબળી હતી અને કેટલાક આડકતરી કમાણીમાં પડ્યા હતા તો અમુક બીમાર રહેતાં હોય તેવા જુદા જુદા કારણોસર તેમને પડતાં મૂકાયા હોવાનો બચાવ નેતાગીરી કરી રહી છે. તદઉપરાંત ગત ટર્મમાં ૬૦ વર્ષથી વધુ વયનાં કોર્પોરેટરોની સંખ્યા ઝાઝી હતી અને યુવાનોની સંખ્યા નહિવત હોવાનું તારણ કાઢીને યોગ્ય નિર્ણય લેવાયો હોવાનો દાવો નેતાગીરીએ કર્યો હતો.પરંતુ કેટલાક કોર્પોરેટરોએ તેમને સ્થાનિક ધારાસભ્યો નડી ગયાંનો આક્ષેપ કરી રહ્યાં છે.
જોકે ભાજપ નેતાગીરીએ મ્યુનિ.ચૂંટણી નજીક આવી તે પહેલાં કેટલા સમયથી વ્યાપક અને ગુપ્ત રીતે કામગીરી શરૂ કરી દીધી હતી. તેમાંય નેતાગીરીનાં આગવા ગણિતમાં અત્યંત સિનિયર કોર્પોરેટરો પણ પાસ થઇ શક્યા નહોતા.ત્રણ ટર્મ કરતાં વધુ મુદતથી કોર્પોરેટર સહિતનાં હોદ્દા ભોગવી ચૂકેલાં ૨૧ કોર્પોરેટરો પૈકી ૧૨ જણાં તો ૬૦ વર્ષથી વધુ વયનાં હતા. જોકે ભાજપ નેતાગીરીએ ક્યાંક વગ ચલાવી હોય તેમ ૬૦ વર્ષનાં બે કોર્પોરેટરોને રિપિટ કર્યા હતા, તો સામે ૬૦ વર્ષનાં બે કોર્પોરેટરોને બીજા કોઇ ક્રાઇટેરિયા નહિ લાગુ પડતાં હોવા છતાં બાજુએ મૂકી દીધા હતા.આમ ભાજપનાં આગવા ગણિતની પરીક્ષામાં નાપાસ થયેલાં ભલભલા કોર્પોરેટરો પૈકી કેટલાને આગામી ચૂંટણીમાં તક મળશે કે કેમ તેની ચર્ચા ઠેર ઠેર ચૂંટણી કાર્યાલયો ઉપર ચાલી રહી છે.