ગુજરાત કોંગ્રેસમાં એક પછી એક રાજીનામા પડી રહ્યા છે, ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહારો કરતા આરોપો લગાવ્યા હતા. અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર 4 ધારાસભ્યોને રૂપિયાથી ખરીદવાનો આરોપ લગાવ્યો હતો અને 65 કરોડ રૂપિયામાં 4 ધારાસભ્યોને ખરીદ્યા હોવાનું કહ્યું હતું. અમિત ચાવડાએ તો ત્યાં સુધી કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે 65 કરોડ રૂપિયામાં આ ધારાસભ્યોનો સોદો કરવામાં આવ્યો હતો. અમિત ચાવડાએ ભારતીય જનતા પાર્ટી પર સવાલો ઉઠાવ્યા હતા કે, ભાજપ જવાબ આપે કે આટલા રૂપિયા ક્યાથી આવ્યા. થોડા દિવસ પહેલા CM વિજય રૂપાણી કહેતા હતા કે અમે ભ્રષ્ટાચાર નથી કરતા તો MLAના સોદો માટે 65 કરોડ ક્યાંથી આવ્યા.
અમિત ચાવડાએ વિધાનસભામાં આ આરોપ લગાવ્યો હતો અને વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ અમિત ચાવડાની ટિપ્પણીને રેકોર્ડ પર ન લેવા માટે કહ્યું હતું.
MLA છોટુ વસાવાના પણ ગંભીર આરોપો…
રાજ્યસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ગુજરાતનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. ગુજરાતમાં જોડતોડની રાજનીતિ શરૂ થઇ ગઈ છે. રાજ્યસભામાં પોતાના ત્રણેય ઉમેદવારોને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યોને તોડી રહી છે. જોડતોડની રાજનીતિ વચ્ચે ગુજરાતના જ એક ધારાસભ્યએ એવો આક્ષેપ કર્યો છે કે, એક ધારાસભ્ય 100 કરોડ રૂપિયામાં વેચાયો છે. મહત્ત્વની વાત એ છે કે, 15 માર્ચના રોજ કોંગ્રેસના ધારાસભ્યોમાં પાર્ટીમાંથી રાજીનામાં આપવાનો દોર શરૂ થઇ ગયો હતો અને સાંજ સુધીમેં એક પછી એક એમ ચાર ધારાસભ્યોએ પોતાના રાજીનામાં આપી દીધા હતા.
રિપોર્ટ અનુસાર ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ધારાસભ્ય છોટુ વસાવાએ ફેસબૂક પર પોસ્ટ કરીને આક્ષેપો કર્યા છે કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામાં આપ્યા છે. તો 100 કરોડ રૂપિયામાં બે વેંચાયા છે કે, 100 કરોડમાં 1 વેંચાયો છે? મતદારોએ જેમને ચૂંટીને ધારાસભ્ય બનાવ્યા છે. તેઓ ચૂંટણી જીત્યાબાદ થોડા રૂપિયા ખાતર વેચાઈ જાય છે. આવા ધારાસભ્યો અને સાંસદો પર દેશદ્રોહનો આરોપ લગાવવો જોઈએ.


