અમદાવાદ,તા.15 સપ્ટેમ્બર 2022,ગુરૂવાર : આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાના ચકચારભર્યા કેસમાં ભાજપના પૂર્વ સાસંદ દિનુ બોઘા સોલંકીના ભત્રીજા અને આ મર્ડર કેસમાં મુખ્ય આરોપી એવા પ્રતાપ ઉર્ફે શિવા સોલંકીને જામીન આપવાનો ગુજરાત હાઇકાર્ટે આજે સાફ ઇન્કાર કરી દીધો હતો.હાઇકોર્ટે આરોપી શિવા સોલંકીની જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં આરોપીને પોતાની જામીન અરજી પાછી ખેંચવાની ફરજ પડી હતી.
હાઇકોર્ટે શિવા સોલંકીની જામીન અરજી ફગાવી દેવાનું વલણ અપનાવતાં અરજી પાછી ખેંચવી પડી
આરોપી શિવા સોલંકીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં સીબીઆઇના સ્પેશ્યલ કાઉન્સેલ આર.સી.કોડેકરે જણાવ્યું હતું કે, આરોપી શિવા સોલંકી આ ચકચારભર્યા હત્યા કેસમાં મુખ્ય કાવતરાખોર અને મહત્વનો આરોપી છે,તેની વિરૂધ્ધ તપાસનીશ એજન્સી પાસે નક્કર અને મજબૂત પુરાવાઓ છે.આરોપીએ તેના કાકા દિનુ બોઘા સોલંકી,કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર સાથે ફાર્મ હાઉસમાં બેઠકો કરી આરટીઆઇ એકટીવીસ્ટ અમિત જેઠવાની હત્યાનું કાવતરૂં રચ્યું હતું.આમ સમગ્ર હત્યા કેસમાં આરોપીની સીધી અને પ્રથમદર્શનીય સંડોવણી પુરવાર થઇ છે.વળી, સુપ્રીમકોર્ટે ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં આ મહત્વપૂર્ણ કેસનો ટ્રાયલ પૂર્ણ કરવા હુકમ કરેલો છે ત્યારે હાલના તબક્કે આરોપીને કોઇપણ સંજોગોમાં જામીન આપી શકાય નહી.આરોપીના ગુનાહિત કૃત્ય અને ગુનાની ગંભીરતાને જોતા પણ તેને જામીન મળી શકે નહી.સીબીઆઇની આ દલીલો ગ્રાહ્ય રાખી હાઇકોર્ટે શિવા સોલંકીને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.
શું છે અમિત જેઠવા હત્યા કેસ…?
આરટીઆઈ કાર્યકર્તા અમિત જેઠવાની ગત તા. ૨૦-૭-૨૦૧૦ ના રોજ ગુજરાત હાઈકોર્ટની સામે જ સત્યમેવ જયતે કોમ્પલેક્ષની નીચે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી હત્યા કરવામાં આવી હતી.સીબીઆઇ કોર્ટે દિનુ બોઘા સહિત તમામને જન્મટીપ ફટકારી છે
આ કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી, તેના ભત્રીજા શિવા સોલંકી,બહાદુરસિંહ વાઢેર સહિતના દોષિતોને સીબીઆઈની ખાસ અદાલતે જન્મટીપની આકરી સજા ફટકારેલી છે.જે સજા સામેની આરોપીઓની અપીલ હાઈકોર્ટમાં પડતર છે.આ કેસમાં દિનુ બોઘા સોલંકી હાલ જામીન પર મુક્ત છે.જ્યારે બાકીના દોષિત જેલમાં છે.