ન્યુ દિલ્હી,તા.૨૩
અમેરિકા અને તાલિબાન વચ્ચે ૨૯ ફેબ્રુઆરીએ અફઘાનિસ્તાનમાં શાંતિ સ્થાપવા માટેના કરાર થવા જઈ રહ્યા છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દે મોદી સરકારને આકરા સવાલો પૂછયા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની યાત્રાનુ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયુ છે ત્યારે કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે કે, અમેરિકા પોતાના હિતોની ચિંતા કરીને તાલિબાન સાથે ડીલ કરી રહ્યુ છે પણ ભારતની ચિંતાઓનુ શું.
તેમણે કહ્યુ હતુ કે શું તાલિબાન દ્વારા ભારતના એર ઈન્ડિયાના વિમાનને ૧૯૯૯માં હાઈજેક કરીને કંદહાર લઈ જવાયુ હતુ તે વાત ભારત સરકાર ભુલી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, કંદહાર કાંડમાં ભારતે પોતાના યાત્રીઓને છોડાવવા માટે ખૂંખાર આતંકવાદી મસૂદ અઝહરને જેલમાંથી મુક્ત કરવો પડયો હતો. ગયા વર્ષે પુલવામા હુમલામાં તેનો જ હાથ હોવાનુ બહાર આવ્યુ હતુ.
સૂરજેવાલાએ પૂછયુ છે કે, ટ્રમ્પ સાથેની મુલાકાતમાં શું પીએમ મોદી રાષ્ટ્રિય સુરક્ષાના મુદ્દાને ઉઠાવશે, શું પીએમ મોદી તાલિબાન સાથેના કરાર પર ટ્રમ્પને સવાલ કરશે?
તેમણે કહ્યુ હતુ કે, અમેરિકાએ ગયા વર્ષથી ભારતને ડયુટી ફ્રી આયાતની અપાતી સુવિધા બંધ કરી દેતા ભારતનો ૫.૬ અબજ ડોલરનો એક્સપોર્ટ બિઝનેસ પ્રાભાવિત થયો છે. શું આ ડયુટી પાછી લેવા માટે પીએમ મોદી ટ્રમ્પ સાથે વાત કરશે?
અમેરિકા પોતાના હિતોની ચિંતા કરી તાલિબાન સાથે ડીલ કરી રહ્યું છે પણ ભારતની ચિંતાઓનું શું?
Leave a Comment