લખનૌ, તા.8 જુલાઈ 2020, બુધવાર
ભગવાન રામના જન્મ સ્થળ અયોધ્યામાં નોન વેજ અને દારુના વેચાણ પર પ્રતિબંધ મુકાય તેવી સંભાવનાઓ છે.અયોધ્યામાં આવેલા તપસ્વી છાવણીના સંત પરમહંસે રાષ્ટ્રપતિને લખેલા પત્ર બાદ હવે સરકાર આ બાબતે ગંભીર બની છે.રાષ્ટ્રપતિ ભવને આ મામલામાં સરકારને યોગ્ય કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
સંત પરમહંસ દાસે કહ્યુ હતુ કે, 2018માં મેં અયોધ્યા અને મથુરામાં નોન વેજ તેમજ દારુના વેચાણ પર પ્રતિબંધની માંગ મુકી હતી.જો સરકાર આ માંગણી નહી માને તો હું 2021માં આમરણ અનશન પર ઉતરીશ.અયોધ્યાને માસ મદિરાથી મુક્ત કરવામાં આવે.કારણકે પહેલા પણ અહીંયા આ વસ્તુઓનુ વેચાણ થતુ નહોતુ,મોગલોના આવ્યા બાદ નોન વેજ વેચવાનુ શરુ કરાયુ હતુ.પરમહંસે રાષ્ટ્રપતિ દ્વારા આ માંગણી પર ધ્યાન અપાયુ છે તે વાતની પ્રશંસા કરીને કહ્યુ છે કે, ધર્મ માટે રાષ્ટ્રપતિ સંવેદનશીલ છે તેવુ તેમની કાર્યવાહીથી દેખાઈ રહ્યુ છે.
અયોધ્યાના સંતો જ નહી મોટાભાગના લોકોનુ પણ માનવુ છે કે, અહીંયા દારુ અને નોન વેજના વેચાણથી જાણે એક સ્વચ્છ જગ્યાની બાજુમાં કચરાપેટી મુકી દેવાઈ હોય તેવુ લાગે છે.તેના વેચાણથી આખુ વાતાવરણ દુર્ગંધ મારી ઉઠે છે.અસામાજિક તત્વો ધાર્મિક માહોલને દુષિત કરી દે છે.