અયોધ્યા : અયોધ્યાની સાકેત ડિગ્રી કોલેજના ૬ વિદ્યાર્થીઓ સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.કોલેજના પ્રિન્સીપાલે તેમના સંસ્થાના પરિસરમાં રાષ્ટ્રવિરોધી નારા બાજી કરવાનો આક્ષેપ મૂકયો છે.
કોલેજના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થી યુનિયનની ચૂંટણીઓ ન કરાવવા સામે ૧૬ ડીસેમ્બર કરેલા પ્રદર્શન દરમ્યાન કથિત રીતે આ નારાબાજી કરી હતી.પ્રિન્સીપાલ એન.ડી. પાંડેએ પોતાની પોલીસ ફરિયાદમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓએ ‘આઝાદી લેકર રહેગે’ જેવા રાષ્ટ્રવિરોધી નારાઓ લગાવ્યા હતા.તેમણે ફરિયાદમાં વિદ્યાર્થીઓના નામ પણ લખાવ્યા છે.વિદ્યાર્થીઓએ જો કે આરોપોને રદિયો આપતા કહ્યું છે કે તેઓ કોલેજના ભ્રષ્ટ પ્રિન્સીપાલ અને તેમની ભ્રષ્ટનીતિઓથી આઝાદી માંગી રહ્યા હતા.પ્રિન્સીપાલની ફરિયાદના આધારે પોલીસે સુમિત તિવારી,શેષ નારાયણ પાંડે,ઇમરાન હાશમી,સાત્વિક પાંડે,મોહિત યાદવ અને મનોજ મિશ્રા સામે કેસ નોંધ્યો હતો.પોલીસે જણાવ્યું કે આમની સામે ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૨૪એ, ૧૪૭, ૧૮૮, ૩૩૨, ૩૫૩, ૪૨૭, ૪૩૫ અને ૫૦૬ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.