રાજ્યમાં કોરોના વાયરસના વધુ 7 કેસ આજે પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્પો છે. ગુજરાતમાં તમામ પોઝિટીવ દર્દીઓના કેસ અમદાવાદમાં નોધાયા છે. અમદાવાદમાં લોકલ ટ્રાન્સમિશન કેસમાં ચિંતાજનક વધારો થયો છે. નવા 7 કેસ પૈકી 6 કેસ લોકલ ટ્રાન્સમિશનના હોવાનું સામે આવ્યું છે. એટલે કે હવે કોરોના લોકલ ટ્રાન્સમિશનના સ્તરે ફેલાઈ રહ્યો છે. આજે અમદાવાદમાં 7 વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. અત્યાર સુધી કોરોનાથી રાજ્યમાં 8 લોકોના મોત થયા છે.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, અમદાવાદમાં આજે આવેલા પોઝિટીવ કેસોની સંખ્યામાં એક 7 વર્ષની બાળકી કોરોનાગ્રસ્ત બનતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આજના તમામ કેસ લોકલ ટ્રાન્સમિસનના છે, પરંતુ એક માહિતી પ્રમાણે આજના 7 પોઝિટીવ કેસોમાંથી એક વ્યક્તિ દિલ્હીથી આવ્યો હતો.
એક રીતે જોવા જઈએ તો લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે અમદાવાદમાં તબલીગી જમાતની અસર જોવા મળી રહી છે. 7 કેસમાંથી 5 કેસમાં તબલીગી કનેક્શન સામે આવ્યું છે. દિલ્હી જમાતમાં ગયેલા વ્યકિતના 5 લોકો સંપર્ક આવ્યા હતા. સંપર્કમાં આવેલા પાંચેય લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં 38 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર ભંડેરી પોળમાં 4 કેસ નોંધાયા છે. અમદાવાદના કાલુપુર મલેકશાહ દરગાહ વિસ્તારમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે અમદાવાદના બાપુનગરમાં 2 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સિવાય ગુજરાતમાં પોઝિટિવ કેસનો આંક 95 પર પહોંચી ગયો છે. ત્યારે તંત્ર સજાગ થઈ ગયું છે અને લોકોને ચુસ્ત લોકડાઉનનું પાલન કરવા માટે બનતા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
ગુજરાતમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો અમદાવાદમાં વિદેશથી આવેલા કુલ 5219 લોકોને ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા હતા. આમાંથી 4084 લોકોનો ક્વોરન્ટીન હેઠળના 14 દિવસ પૂર્ણ થઈ ગયા છે. જ્યારે હજુ 1135 જેટલા લોકો ક્વોરન્ટીનમાં છે.