નવી દિલ્હી,તા.28 માર્ચ 2022,સોમવાર : આર્થિક કટોકટીનો સામનો કરી રહેલ શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે.ભારતે ગત મહિને આપેલ ક્રેડિટ લાઈનથી લંકાને ડિફોલ્ટ ટાળવામાં મદદ મળી હતી પરંતુ હવે ફરી વસ્તુઓની આયાત કરવા માટે શ્રીલંકાએ ભારત પાસેથી 1 અબજ ડોલરની વધારાની લોન માંગી છે.
શ્રીલંકા આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે.જાન્યુઆરી 2020થી વિદેશી મુદ્રા ભંડારમાં 70% ઘટાડા પછી જરૂરી ખાદ્ય અને ઈંધણ સહિતની આવશ્યક ચીજવસ્તુઓની આયાતની ચૂકવણી શ્રીલંકા સંઘર્ષ કરી રહ્યું છે અને ચલણન અવમૂલ્યનથી વધુ દબાણ સર્જાઈ રહ્યું છે.જરૂરી વસ્તુઓની સુરક્ષા માટે સેનાએ કામે લગાડવાની ફરજ પડી છે.
એક અહેવાલ અનુસાર શ્રીલંકાના પ્રસ્તાવ પર ભારતીય વિદેશ પ્રધાને પાડોશી દેશની સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી છે.નવી દિલ્હીએ સંકેત આપ્યો છે કે તે ચોખા,ઘઉંનો લોટ,કઠોળ,ખાંડ અને દવાઓ જેવી આવશ્યક વસ્તુઓની આયાત કરવા માટે નવી ક્રેડિટ લાઇન અરજીને સ્વીકારી છે, એમ એક સૂત્રએ જણાવ્યું છે.
આ અગાઉ શ્રીલંકાના નાણાપ્રધાન બાસિલ રાજપક્ષેએ આયાત માટે ચૂકવણી કરવામાં મદદ કરવા માટે આ મહિને ભારતની રાજધાની નવી દિલ્હીમાં 1 અબજ ડોલરની ક્રેડિટ લાઇન પર હસ્તાક્ષર કર્યા હતા.