સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાઓ ધરાવતું, વિશ્વમાં જેની નોંધ લેવાય એવું ડાયમન્ડ બુર્સ ઊભું કરી દેવાયું છે અને હવે ફાઇનલી દિવાળી પછી કારતક નોમના શુભ મુરતે ૨૧ નવેમ્બરે એનો શુભારંભ થઈ રહ્યો છે.આ બાબતની જાણ સુરત ડાયમન્ડ બુર્સે એના મેમ્બરોને સર્ક્યુલર મોકલીને કરવામાં આવી છે.
સુરત ડાયમન્ડ બુર્સ દ્વારા જાહેર કરાયેલા એ સર્ક્યુલરમાં ૧૯૦ કંપનીઓનું લિસ્ટ પણ આપેલું છે જે એ દિવસથી એમનું કામકાજ શરૂ કરશે.સુરત ડાયમન્ડ બુર્સ એ બાબતે આશાવાદી છે કે હજી સાડાત્રણ મહિનાનો સમય બાકી છે એથી અન્ય કંપનીઓ અને ઑફિસો પણ તેમનું કામ એ જ દિવસથી શરૂ કરશે.સુરત ડાયમન્ડ બુર્સના પ્રેસિડન્ટ વલ્લભભાઈ લાખાણીએ આ બાબતે માહિતી આપતાં કહ્યું હતું કે સુરત ડાયમન્ડ બુર્સનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું.કન્સ્ટ્રક્શનનું કામ તો પતી ગયું હતું,પણ એ પછીની જે સુવિધાઓ આપવાની હતી એ બધાં કામ હવે આટોપી લેવાયાં છે અને એસડીબીની કમિટીએ ૨૧ નવેમ્બરથી બુર્સ શરૂ કરવાનો નિર્ણય લીધો છે.હાલ ૧૯૦ જેટલી કંપનીઓનું લિસ્ટ જાહેર કર્યું છે,પણ મને આશા છે કે ૨૧ નવેમ્બરે ૫૦૦ જેટલી કંપનીઓ તેમનું કામ ચાલુ કરશે.ભારત ડાયમન્ડ બુર્સના વેપારીઓને પણ અહીં આવીને ધંધો કરવાની અપીલ કરવામાં આવી છે અને એમને આપવાની સુવિધાનો નિર્ણય એ કમિટીએ મળીને લીધો હતો.જો સુરત ડાયમન્ડ બુર્સ અદ્યતન બનાવવા આટલા રૂપિયા ખર્ચ્યા હોય તો એ ચાલુ તો થવાનું જ હતું અને એ અમે કરી પણ રહ્યા છીએ.અમે ક્યારેય કોઈનું ખરાબ ઇચ્છ્યું નથી.એથી અમે એ વિશે ન બોલતાં જે પૉઝિટિવ છે એને જ નજર સામે રાખીને આગળ વધવા માગીએ છીએ.બધા ધંધો કરે અને આગળ વધે એવી જ અમારી ઇચ્છા છે.
આમ તો સુરત ડાયમન્ડ બુર્સનું ઉદ્ઘાટન દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરાવવાની ઇચ્છા બુર્સની પણ છે,પણ મેમ્બરોને જે સરક્યુલર મોકલવામાં આવ્યો છે એમાં કોના હસ્તે એનું ઉદ્ઘાટન કરવામાં આવશે એની સ્પષ્ટતા કરવામાં આવી નથી. સુરત ડાયમન્ડ બુર્સમાં કુલ ૪,૫૦૦ ઑફિસો છે.