નવીદિલ્હી, તા.13 : ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર રાજ્યમાં વસતી નિયંત્રણ કાયદો લાવવાની તૈયારીમાં છે. દરમિયાન મોટાભાગના લોકોનું માનવું છે કે ઉત્તરપ્રદેશ જ નહીં પરંતુ આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો અમલી બનાવવાનો સમય આવી ગયો છે.
આઈએએનએસ-સીવોટર લાઈવ ટ્રેકરમાં સામેલ મોટાભાગના લોકોએ આ પ્રતિક્રિયા જાહેર કરી છે.સર્વેમાં એવું પૂછવામાં આવ્યું હતું કે આખા દેશમાં વસતી નિયંત્રણ કાયદો લાગુ કરવાનો સમય આવી ગયો છે ? આ સવાલના જવાબમાં 52.14 ટકા લોકોએ ‘હા’માં જવાબ આપ્યો તો 38.03 ટકા લોકોએ ‘ના’ પાડી હતી.આ સર્વે 1225 લોકો ઉપર કરવામાં આવ્યો છે.કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે પેટ્રોલની વધી રહેલી કિંમતો લોકોને પરેશાન કરી રહી છે.તેમણે ઈંધણની કિંમતને 60-65 રૂપિયા પ્રતિ લીટર સુધી લાવવાની ફોર્મ્યુલા આપી છે.ગડકરીએ કહ્યું કે ઈથેનોલના વધુ ઉપયોગથી પેટ્રોલની કિંમતોમાં રાહત મલશે.ત્યારબાદ 49.6 ટકા લોકોએ કહ્યું કે ગડકરીને પેટ્રોલિયમ મંત્રાલયની જવાબદારી પણ સોંપવી જોઈએ તો 34.5 ટકા લોકોએ કહ્યું કે નવા પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરી મંત્રશલયના મામલાઓને કુશળતાપૂર્વક અને વ્યવસ્થિત રીતે સંભાળશે.
અલગ-અલગ રાજ્યોમાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ઉત્તરાખંડમાં મફત વીજળી આપવાનું એલાન કર્યું છે તો સમાજવાદી પાર્ટી નેતા અખિલેશ યાદવે ઉત્તરપ્રદેશમાં મફત વીજળી આપવાનો વાયદો કર્યો છે.આ અંગેના સર્વેમાં 50.29 ટકા લોકોએ કહ્યું કે મફત વીજળીનો વાયદો ચૂંટણી માટે જીતની ફોર્મ્યુલા બની રહ્યો છે જ્યારે 35.28 ટકા લોકોએ કહ્યું કે એક પાર્ટી મફત વીજળીના વાયદાથી ચૂંટણી જીતી શકે નહીં.