આજે મુંબઈમાં ઝાપટાં પડતાં રહેશે અને કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતા પણ રીજનલ મિટિયરોલૉજિકલ સેન્ટર દ્વારા દર્શાવવામાં આવી છે.આજથી ચાર દિવસ માટે મુંબઈ અને થાણેમાં ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે,જ્યારે રાયગડ અને પાલઘરમાં આજે રેડ અલર્ટ છે;જ્યારે બાકીના ત્રણ દિવસ માટે ઑરેન્જ અલર્ટ જાહેર કરાઈ છે.ગઈ કાલે કોલાબામાં ૬.૭ એમએમ,જ્યારે સાંતાક્રુઝમાં ૩.૬ એમએમ વરસાદ નોંધાયો હતો.
રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વરસાદ રહેશે,જ્યારે કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ દર્શાવાઈ છે.સ્ટેટ ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના જણાવ્યા અનુસાર આ વર્ષે મૉન્સૂનમાં પહેલી જૂનથી ગઈ કાલ સુધીમાં વરસાદને કારણે ૭૪ જણનાં મોત થયાં હતાં,જેમાં ૯ મોત છેલ્લા ૨૪ કલાકમાં જ થયાં હતાં.વરસાદને કારણે રાજ્યમાં ૮૩૮ ઘરને નુકસાન થયું છે અથવા તૂટી પડ્યાં છે અને ૪,૯૧૬ જણને સુરિક્ષત સ્થળે ખસેડવામાં આવ્યા છે.તેમના માટે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ અને રીહૅબિલિટેશન ડિપાર્ટમેન્ટ દ્વારા ૩૫ જગ્યાએ રિલીફ સેન્ટર તૈયાર કરાયાં છે.આ ઉપરાંત આ મૉન્સૂનમાં ભારે વરસાદમાં તણાઈ જવાથી ૧૨૫ જેટલાં પશુઓનાં પણ મોત થયાં છે.