અમદાવાદ : સિરીઝમાં બે પરાજય બાદ દબાણમાં આવી ગયેલો કેપ્ટન રિશભ પંત ભારતીય ટીમના પ્રદર્શન અને તેના કંગાળ બેટિંગ ફોર્મનો સામનો કરીને શુક્રવારે અહીં રમાનારી પ્રવાસી સાઉથ આફ્રિકન ટીમ સામેની ચોથી ટી20 ક્રિકેટ મેચમાં ભારતને વિજય અપાવવાનો પ્રયાસ કરશે.ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે શુક્રવારે સાંજે 7.00 કલાકે અહીંના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશને સ્ટેડિયમ ખાતે ચોથી ટી20 ઇન્ટરનેશનલ મેચ રમાશે.ભારતે બે દિવસ અગાઉ વિશાખાપટનમમાં ત્રીજી મેચ જીતી હતી પરંતુ તેનાથી તેની પરિસ્થિતિમાં ખાસ ફરક પડ્યો નથી કેમ કે તેણે આ મેચમાં પણ જીતવું ફરજિયાત છે અને તો જ સિરીઝ જીવંત રહી શકશે.ભૂતકાળમાં રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે ભારતનો વિક્રમ ઉજળો રહ્યો છે તે બાબત કદાચ ભારતને આ મેચમાં મદદ કરી શકે પરંતુ તેમ છતાં ટીમે આકરી મહેનત કરવી પડશે તે નક્કી છે.
રિશભ પંત એક કેપ્ટન અને બેટ્સમેન તરીકે આ સિરીઝમાં અત્યાર સુધી નિષ્ફળ રહ્યો છે પરંતુ ત્રીજી ટી20માં ભારતે શાનદાર દેખાવ કર્યો હતો.ઓપનર ઋતુરાજ ગાયકવાડ અને ઇશાન કિશને ટીમને મજબૂત પ્રારંભ અપાવ્યો હતો જેને પગલે ભારતે જંગી સ્કોર ખડકવામાં સફળતા હાંસલ કરી હતી અને અંતે મેચ જીતી લીધી હતી.જોકે ટીમની સફળતામાં હર્ષલ પટેલ અને યુઝવેન્દ્રસિંહ ચહલની વેધક બોલિંગનું પણ એટલું જ યોગદાન હતું.આ સાથે ભારતે પાંચ મેચની સિરીઝનો સ્કોર 1-2 કરી દીધો હતો પરંતુ હવે શુક્રવારની મેચ તે જીતે તો સ્કોર સરભર થઈ જાય અને એ સંજોગોમાં બેંગલોર ખાતેની અંતિમ ટી20 નિર્ણાયક બની રહેશે.ભારત માટે પરિસ્થિતિ ફરજિયાત જીતવાની છે ત્યારે પંતે તેની મૂળ શૈલીમાં પરત ફરવું પડશે.રિશભ પંત અગાઉ પણ તેની કારકિર્દીમાં ઘણી વાર વળતો પ્રહાર કરી ચૂક્યો છે અને જ્યારે તેની કઈ ગણતરી થતી ન હોય તેવા સંજોગોમાં તે ફરીથી ખીલી ઉઠ્યો છે.આ વખતે પણ તેની પાસેથી એવા જ વળતા પ્રહારની અપેક્ષા રાખવામાં આવી રહી છે.