– કોરોના મહામારી-લોકડાઉનના કારણે ભાવિકો દ્વારા ઘરમાં રહીને જ પૂજન અર્ચન
આજે શ્રી શનિદેવ મહારાજની જન્મ જયંતિ છે.આ દિવસ શનિ દેવની કૃપા મેળવવાનો સર્વોત્તમ દિવસ માનવામાં આવે છ.સામાન્ય રીતે આ દિવસે શનિ મંદિરો અને હનુમાનજીના મંદિરોમાં શ્રધ્ધાળુઓ ઉમટી પડતા હોય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીને પગલે થયેલા લોકડાઉનને કારણે મંદિરો દર્શનાર્થીઓ માટે બંધ છે ત્યારે શ્રધ્ધાળુઓ પોત-પોતાના ઘરે બેસીને શનિમંત્ર,હનુમાન ચાલીસા સહિત જપ,તપ અને ઉપાસના કરી શકે છે.સાથ જ યથાશકિત દાન કરી શકે છે.જયોતિષાચાર્ય રાજૂભાઇ રઘુનાથભાઇ દવેએ જણાવ્યું કે શનિ મહારાજની કૃપા મેળવવા માટે શનિ જન્મોત્સવનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે.અત્યાર શનિનું વક્રી ભ્રમણ ચાલી રહ્યું છે.આ દિવસે દિવ્યાંગોને પણ યથાશકિત સહાય કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે.આજે ભગવાન શ્રી શનિ મહારાજની જન્મ જયંતિ છે.શ્રી શનિ ભગવાનથી ડરવાના બદલે તેમને સમજવાથી આપણે બચી શકીએ છીએ.શનિ મહારાજનાં માથા ઉપર સુવર્ણ મુગટ શોભે છે.ગળામાં માળા અને શરીર ઉપર વાદળી રંગના વસ્ત્રો અને શરીર પણ ઇન્દ્રનીલમણી સમાન શોભે છે.શ્રી શનિ મહારાજ ગિધ ઉપર સવારી કરે છે.તેમના હાથમાં ધનુષ,બાણ અને ત્રિશુલ જોવા મળે છે.
શ્રી શનિદેવ મહારાજના કારણે આપણુ કર્મ જીવન ચાલ્યા કરે છે.દશમ ભાવને કર્મ,પિતા અને રાજયનો ભાવ માનવામાં આવે છ.શનિદેવ મકર અને કુંભ રાશીના સ્વામી છે.શ્રી શનિદેવ મહારાજને જુગાર – સટ્ટો રમનારા પ્રત્યે નફરત છે.દારૂ પીનારા,વ્યાજખોરી કરનારા,પરસ્ત્રી તરફ ખરાબ નજર,નિર્દોષ લોકોને હેરાન કરવા,કોઇની પીઠ પાછળ તેની વિરૂધ્ધમાં કાર્ય કરવુ,કાકા-કાકી,માતા-પિતા,સેવકો અને ગુરૂજનોનું અપમાન કરવુ ભગવાનના વિરૂધ્ધ ઉચ્ચારણો કરવા,મુંગા પશુઓને મારવા,સાપ,શ્વાન સહિત નિર્દોષ પશુ-પક્ષીઓ,પ્રાણીઓને હેરાન કરવા,સફાઇ કર્મચારીઓ,દિવ્યાંગોનુ અપમાન કરવુ પસંદ નથી.શ્રી શનિદેવ મહારાજનો ખરાબ પ્રભાવ પડે તો મકાન અથવા મકાનનો ભાગ તૂટી પડે છે નહીં તો દેણામાં અથવા લડાઇ – ઝઘડાનાં કારણે મકાન વેંચાઇ જાય છે.અચાનક આગ લાગે છે.ધન,સંપતિનો કોઇપણ રીતે નાશ થઇ જાય છે.દાંત અને આંખોમાં કમઝોરી,ખોટા આક્ષેપો લાગે છે.જો વ્યકિત પોતાનો વાણી-વ્યવહાર સારો ન રાખે તો જેલ અથવા તો ફાંસી પણ થઇ શકે છે.શ્રી શનિદેવ મહારાજની સ્થિતિ વ્યકિતના જીવનમાં શુભ હોય તો દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરે છે.તેમના જીવનમાં કોઇપણ પ્રકારનું દુઃખ આવતુ નથી.આવા વ્યકિતઓ ન્યાયપ્રિય હોય છે.અને સમાજમાં માન-સન્માન ખૂબ જ મેળવે છે.આવા વ્યકિતઓને કોઇ દુશ્મનો હોતા નથી અને તે બધા પાસેથી સહયોગ પ્રાપ્ત કરે છે.શ્રી શનિદેવ મહારાજની શાંતિ માટે શ્રી મહામૃત્યુજય જાપ મંત્ર કરી શકાય છે.તલ,અડદ,લોખંડ,તલ,કાળા વસ્ત્રો અને બુટ – ચપ્પલનું દાન આપવુ જોઇએ.કાગડાઓને દરરોજ રોટલી નાખવી જોઇએ.એક કપમાં થોડુ સરસવનુ તેલ લઇને તેમા પોતાનુ મોઢુ જોઇને શ્રી શનિદેવ મહારાજના મંદિરમાં પાપોની ક્ષમા માંગીને રાખી આવવુ જોઇએ.જે વ્યકિત દરરોજ શ્રી હનુમાન ચાલીસા વાંચીને શ્રી શનિદેવ મહારાજની આરાધના ભાવથી કરવી જોઇએ.