સંપૂર્ણ દેશ ૭૪મું આઝાદી પર્વ ઉજવી રહ્યો છે.એ આઝાદીના મૂળિયા જેમણે સીંચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઓ,ક્રાંતિકારીઓ,અનેક નામી-અનામી એવા સૌ કોઈને આજના દિવસે પુણ્ય સ્મરણ કરીને,એ સૌને આજે વંદન કરીએ છીએ.
વર્ષોનાં વર્ષો અવિરત સંઘર્ષ કરીને, બ્રિટિશરોની લાઠીઓ ખાઈ-ખાઈને, ગોળીઓ ઝીલી-ઝીલીને ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે. ખુદીરામ બોઝ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, લોકમાન્ય તિલક, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ-એવા અનેક લોકોએ આઝાદીની લડતનું નેતૃત્વ કરીને બ્રિટિશરો સામે લડતાં-લડતાં આપણને આ આઝાદી અપાવી છે.
દેશ માટે મરી ફીટનાર, જાન કુરબાન કરનાર, સૌ કોઈને નમન કરવાનો- યાદ કરવાનો આ અવસર છે.આઝાદી સંગ્રામવેળાએ પૂજ્ય મહાત્મા ગાંધીના નેતૃત્વમાં અંગ્રેજો સામે દેશવ્યાપી અહિંસક ચળવળ-સત્યાગ્રહનો જુવાળ જાગેલો. આજે કોરોનાની મહામારી સામે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશવ્યાપી ચળવળ જાગી છે, જનજાગૃતિની અને સારી આદતોની,સ્વચ્છાગ્રહની આ ચળવળ જાગી છે.
આપણે સૌ એક બની-નેક બની સારી આદતો કેળવીએ અને આ સંક્રમણને રોકવા માસ્કનો ઉપયોગ કરવો,સોશિયલ ડિસ્ટન્સ જાળવવું,હાથને વારંવાર સેનિટાઇઝ કરવા- અને કોરોના સામેનો પણ સંગ્રામ જીતવાનો છે.
સ્વાભાવિક છે કે,આઝાદીના આ પર્વની ઉજવણીનો આનંદ-હરખ આપણને સૌને ખૂબ જ હોય.પરંતુ આ વર્ષે કોરોનાની મહામારીને કારણે સ્થિતિ થોડી અલગ છે.ભીડ એકત્રિત ન થાય,મેળાવડો કે ઉત્સવો કરી નથી શકતા.તો કોરોનાના સંક્રમણની શકયતાઓ ભીડને કારણે વધી જાય અને વધુ લોકોના જાન જોખમમાં આવી જાય. એટલા માટે,આ વખતે ૭૪મું સ્વાતંત્ર્ય પર્વ મર્યાદિત સંખ્યામાં મર્યાદિત કાર્યક્રમ કરીને સોશિયલ ડિસ્ટન્સ સાથે ઉજવવાનું નક્કી કર્યુ છે.