આણંદ-સોજીત્રા ટ્રીપલ અકસ્માતમાં 6નો ભોગ લેનારો કોંગ્રેસી MLAનો જમાઈ નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

HM News
2 Min Read

– કારચાલક આરોપી કેતન પઢિયાર MLA પૂનમચંદ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનું સામે આવ્યું

આણંદ, તા. 12 ઓગષ્ટ 2022, શુક્રવાર : આણંદ જિલ્લાના સોજીત્રા પાસે ગુરૂવારે, રક્ષાબંધનના રોજ સાંજના સમયે ભારે મોટા અકસ્માતની ઘટના બની હતી જેમાં 6 લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.આણંદ-તારાપુરને જોડતા હાઈવે પર ડાલી પાસે ટ્રીપલ અકસ્માતની આ ઘટના બની હતી.અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારા મૃતકો સોજીત્રા અને બોરીયાવી ગામના રહેવાસી હતા.

એસયુવી કારે બાઈક અને રીક્ષાને હડફેટમાં લેતા તેમાં સવાર એક જ પરિવારની 3 મહિલાઓ અને અન્ય 3 પુરૂષોના મોત થયા હતા.અકસ્માત બાદ એસયુવી કારનો ચાલક કેતન પઢિયાર વાહન ત્યાં મુકીને જ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. જોકે પોલીસે બાદમાં તેને ઝડપી લીધો હતો અને તેના સામે માનવવધની કલમ 304 અંતર્ગત કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

MLAનો જમાઈ છે આરોપી

કારચાલક આરોપી કેતન પઢિયાર MLA પૂનમચંદ પરમારના કૌટુંબિક જમાઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન પોલીસને કારમાંથી MLA ગુજરાત લખેલું બોર્ડ પણ મળ્યું હતું.

કેતન પઢિયાર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ

અકસ્માત બાદ સ્થાનિકોએ એસયુવી ચાલક આરોપી નશાની હાલતમાં હોવાનો આક્ષેપ કર્યો છે.અકસ્માત બાદનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં કેતન પઢિયાર લથડીયા ખાતો જોવા મળે છે.વીડિયોમાં સ્થાનિકો કેતને દારૂ પીધો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને વીડિયોમાં જોઈ શકાય છે કે, મૃતદેહ બહાર કાઢતી વખતે કેતન પઢિયાર લથડિયા ખાઈ રહ્યો છે.અકસ્માતનો ભોગ બનનારી મહિલા પોતાની બંને પુત્રીઓ સાથે રક્ષાબંધન કરીને પરત ફરી રહી હતી ત્યારે ત્રણેય કાળનો કોળિયો બની ગઈ હતી.અકસ્માતમાં ઘટના સ્થળે જ 2 લોકોના મોત થયા હતા જ્યારે બાકીના ચારે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.

મૃતકોની વિગતો

જીયાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 14, સરનામું- સોજીત્રા, નવાઘરા

જાનવીબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 17, સરનામું- સોજીત્રા, નવાઘરા

વિણાબેન વિપુલભાઈ મિસ્ત્રી, ઉંમર 44, સરનામું- સોજીત્રા, નવાઘરા

યાસીનભાઈ મોહમ્મદભાઈ વહોરા (રીક્ષા ચાલક), ઉંમર 38, સરનામું- સોજીત્રા, અબ્દુલ રજીદ પાર્ક સોજીત્રા

યોગેશભાઈ રાજેશભાઈ રમણભાઈ ઓડ, ઉંમર 20, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,આણંદ

સંદીપભાઈ ઠાકોરભાઈ ઓડ, ઉંમર 19, સરનામું- બોરીયાવી, સ્વામિનારાયણ મંદિરની બાજુમાં,આણંદ

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *