– ડાંગના વેપારીઓએ સ્વયંભૂ દુકાનો બંધી રાખીને આદિવાસી સમાજની લડતને સમર્થન આપ્યું
સાપુતારા : વઘઇના આદિવાસી યુવાનોના શંકાસ્પદ મોત મામલે આદિવાસી સમાજ દ્વારા ડાંગ બંધના એલાને સજ્જડ પ્રતિસાદ સાંપડ્યો આહવા વઘઇ સુબીર એમ ત્રણ તાલુકા સહિત ગીરીમથક સાપુતારા ખાતે નાના મોટા વેપારીઓએ સ્વયંભૂ લારી ગલ્લા સજ્જડ બંધ રાખી ડાંગ બંધના એલાનને સમર્થન આપ્યુ હતુ જેની માટે ડાંગના વેપારી મંડળનો આદિવાસી સમાજે આભાર વ્યકત કર્યો હતો.
મળતી માહિતી મુજબ ચીખલી પોલીસે ડાંગ જિલ્લાનાં વઘઈ નગરનાં બે યુવાનોની અપમૃત્યુ અને આદિવાસી બાળકો સાથે થયેલ અત્યાચારનાં વિરોઘમાં ડાંગ આદિવાસી સમાજ સહિત વિવિધ સામાજિક સંગઠનો દ્વારા પીડિત પરિવારને વહેલી તકે ન્યાય મળે અને દોષિતો છે તેમને કડકમાં કડક સજા થાય તે માટે આદિવાસી સમાજ દ્વારા સમ્રગ ડાંગ જિલ્લામાં સોમવારે વેપાર ધંધા બંધનું એલાન આપ્યુ હતુ જે ડાંગ બંધના એલાનને આજ રોજ સંપૂર્ણ પણે સફળ બનાવવા આહવા વઘઇ સુબીર અને સાપુતારામાં નાના મોટા વેપારીથી લઇ લારી ગલ્લા વાળાઓએ પણ પોતાના ધંધા રોજગાર જળબેસલાક બંધ રાખી ડાંગ બંધના એલાનને સમર્થન આપી મૃતક અને મૃતકના પરિવારજનોને ન્યાય મળે અને સમગ્ર પ્રકરણમાં દોષિતોને માત્ર સસ્પેન્ડ કરવામાં આવે પણ તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય તેવી પણ માંગ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે.આદિવાસી ધારાસભ્યો સહિત આદિવાસી સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ જવાબદાર અધિકારી વિરુદ્ધ માનવવધનો ગુનો દાખલ કરવામાં આવે સાથે જ તેમની વિરુદ્ધ એટ્રોસિટી પણ દાખલ થાય આ મામલે જો કાર્યવાહી નહીં થાય તો આદિવાસી સમાજ આગામી સમયમાં ઉગ્ર આંદોલન યોજી શકે જેવી ચીમકી ઉચ્ચારી છે.ડાગ જિલ્લામાં બંધને પગલે સહેલાણીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો,ખાસ કરીને સહ પરિવાર સાથે આવેલા પ્રવાસીઓને પીવાના પાણી,ચા,નાસ્તાની રેકડી બંધ હોય ભારે કફોડી સ્થિતિ બની હતી.ડાંગ જિલ્લાના જોવાલાયક સ્થળો જેવા કે બોટનીકલ ગાર્ડન,ગીરાધોધ,ગિરમાળ ધોધ,સબરીધામ,ડોન સજ્જડ બંધ રહેવા પામ્યા હતા.જ્યારે ગીરીમથક સાપુતારા ખાતે મ્યુઝિયમ સર્કલ,ન્યુ શોપિંગ સેન્ટર,સાઈબજાર રેસ્ટોરન્ટ,બોટિંગ,એડવેન્ચર પાર્ક,સજ્જડ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પિ પીડિત પરિવારોને ન્યાય માટે એકતા દર્શાવી હતી.
ડાંગ જિલ્લા આદિજાતિ ડિરેકટર બાબુરાવભાઇ ચૌર્યા અને જનસેવા ટ્રસ્ટ તેમજ મિશન ટ્રસ્ટના યુવાનોએ સ્વાગત સર્કલ પર ભેગા મળી મૃતકોના આત્માની શાંતિ માટે મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પિ હતી.તેમજ ડાંગ બંધના આહવાનમા ભાગીદાર બનનાર વઘઇ,આહવા,સુબિર, સાપુતારાના તમામ વેપારી,નાના ધંધાર્થીઓ, આગેવાનોનો આભાર વ્યક્ત કર્યો હતો.બંધના પગલે જિલ્લાભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા.જોકે જિલ્લા પોલીસ વડાએ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.