રાજપીપળા : આદિવાસીઓ હિન્દૂ નથી એવો પ્રચાર કરનારા તત્વોને ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ સાવધાન રહેવાની ખુલ્લી ચીમકી આપી છે.નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચના એક કાર્યક્રમમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસીઓને હિન્દૂ-દેવી દેવતાઓ પર પોતાની આસ્થા રાખવા અપીલ પણ કરી હતી.
નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના જાનકી આશ્રમ ખાતે રાષ્ટ્રીય આદિવાસી મંચ દ્વારા મુખ્ય કાર્યકર્તાઓનું સંમેલન રાખવામાં આવ્યું હતું.જેમાં રાષ્ટ્રીય આદિવાસી મંચના અધ્યક્ષ નિતીનજી પારગી,ડો.વિશાલ વલવી,ડો.પંકજ પટેલ,જાનકી આશ્રમના સંચાલક સોનજીભાઈ ભાઇ વસાવા,રાષ્ટ્રીય આદિવાસી મંચ મહામંત્રી દિનેશભાઈ દાદા,રાષ્ટ્રીય આદિવાસી મંચ મંત્રી સુધીરભાઈ,રાષ્ટ્રીય આદિવાસી મંચ કોષાધ્યક્ષ દિલીપભાઈ,રાજુભાઈ દાદા,માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા,પૂર્વ વનમંત્રી મોતીભાઈ વસાવા તથા ડો.વિનોદ ભાઈ કૌશિક સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાએ આદિવાસી સમાજમાં આદિવાસી હિન્દુ નથી,આદિવાસીઓની આસ્થા અને શ્રદ્ધામાં,દેવી દેવતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણીઓ કરવામાં આવે છે.આદિવાસીઓને હિંદુ ધર્મથી અલગ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.એવા લોકોને સાવધાન રહેવા ખુલ્લી ચેતવણી આપી હતી.સાંસદ મનસુખભાઈ વસાવાએ જણાવ્યું હતું કે આપણા આસ્થાના કેન્દ્રો દેવમોગરા માતાજી,ગામે-ગામે ભાથીજી મહારાજ મંદિર,હનુમાન મંદિર,મહાદેવના મંદિર,માતાજીના મંદિરો વગેરેમાં પૂર્ણ શ્રદ્ધા રાખવી,પરમાત્માના અવતાર શ્રી રામચંદ્રમાં પૂર્ણ શ્રદ્ધા અને આસ્થા રાખવી,આદિવાસી વર્ષોથી હિન્દુ છે અને રહેવાનો છે.કોઈની તાકાત નથી કે હિંદુ ધર્મથી આદિવાસીઓને અલગ કરી શકે.
ભૂતકાળ વાગોળીએ તો BTP MLA છોટુભાઈ વસાવા અને એમના કાર્યકરોએ ઘણા જાહેર કાર્યક્રમોમાં આદિવાસીઓ હિન્દૂ નથી, હિન્દૂ ધર્મ તો એક પરંપરા છે જીવન જીવવાની એક શૈલી છે એવા નિવેદનો આપ્યા હતા.દરમિયાન વિવાદ થયો હતો.સાથે સાથે એ જ દિવસોમાં આદીવાસીઓના એક જૂથ દ્વારા હિન્દૂ દેવી દેવતાઓ પર વિવાદિત ટિપ્પણીઓ થતા વિવાદ વધ્યો હતો.ત્યારે ભાજપ સાંસદ મનસુખભાઈ વસાવાનો ઈશારો BTP MLA છોટુભાઈ વસાવા તરફ હોવો જોઈએ એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.