‘આપ’ને રૂ. ૨,૦૦૦ કરોડના કૌભાંડમાં મનિષ સિસોદિયાની ધરપકડનો ભય : કેજરીવાલે કહ્યું બધાને જ જેલમાં મોકલી દો

HM News
3 Min Read

– કૌભાંડના ૩ વર્ષ જૂના ખોટા કેસમાં ફસાવવાનો કેન્દ્રનો કારસો : આપ
– સ્વાસ્થ્યમંત્રી જૈન પછી હવે નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની ધરપકડ કરાશે, બધાને સાથે જ જેલમાં મોકલી દો : કેજરીવાલ

નવી દિલ્હી, તા.૨ : દિલ્હી સરકારના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ થયા પછી હવે દિલ્હીની આપ સરકારને ત્રણ વર્ષ જૂના એક કેસમાં શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાની ધરપકડનો ડર સતાવી રહ્યો છે.ભાજપ નેતાઓએ રૂ. ૨,૦૦૦ કરોડના કથિત કૌભાંડની ફરિયાદ કરી હતી,જેની તપાસ એસીબીને સોંપાઈ હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે દાવો કર્યો હતો કે સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પછી હવે તેમની સરકારના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ થઈ શકે છે.

આપના કન્વીનર અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, તેમના વરિષ્ઠ નેતા અને શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાને કોઈ ખોટા કેસમાં ફસાવાઈ શકે છે.પક્ષે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારે સિસોદિયાને ફસાવવા માટે ત્રણ વર્ષ જૂનો કેસ ઊખેળવાનું કાવતરું રચ્યું છે. આપ નેતા આતિશીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે મનિષ સિસોદિયાની ધરપડ કરાવવા માટે તેમની બધી જ તપાસ એજન્સીઓ,આવકવેરા,એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ,દિલ્હી પોલીસ અને સીબીઆઈને ‘નકીલ કેસો’ની તૈયારી શરૂ કરવાનો આદેશ આપી દીધો છે.તેમણે દાવો કર્યો કે સ્વાસ્થ્ય અને વીજળી સહિત વિવિધ વિભાગોનું કામકાજ સંભાળી રહેલા સત્યેન્દ્ર જૈનની ‘કોઈપણ નવા પૂરાવા વિના’ ઈડીએ એક કેસમાં ધરપકડ કરી છે.આતિશીએ એક કથિત દસ્તાવેજ દર્શાવ્યો હતો, જેમાં એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી)એ ભાજપના દિલ્હી એકમના નેતાઓ હરીશ ખુરાના અને નીલકાંત બક્શીએ નોંધાવેલી ફરિયાદના સંદર્ભમાં વધુ વિગતો અને દસ્તાવેજ માગ્યા હતા.ભાજપના આ બંને નેતાઓએ ફરિયાદ કરી હતી કે સિસોદિયા અને જૈન વિદ્યાલય વર્ગો તથા ભવનોના નિર્માણમાં રૂ. ૨,૦૦૦ કરોડના કૌભાંડમાં સામેલ હતા આ ફરિયાદ દિલ્હી પોલીસ કમિશનરને ૩ જુલાઈ, ૨૦૧૯ના રોજ કરાઈ હતી, જેને વધુ તપાસ માટે એસીબીને મોકલાઈ હતી.

આતિશીએ કહ્યું, આ કેસ છેલ્લા ત્રણ વર્ષથી ક્યાં હતો? આ કેસમાં કશું જ થયું નહીં, કારણ કે બધી જ એજન્સીઓ જાણતી હતી કે તેમાં ભ્રષ્ટાચાર થયો જ નથી.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ભાજપ પર હુમલો કરતાં જણાવ્યું હતું કે, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ઈડી દ્વારા ધરપકડ થયા પછી હવે મનિષ સિસોદિયાને પણ ખોટા કેસમાં જેલમાં મોકલવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે.અમને એક-એક કરીને જેલમાં મોકલવાના બદલે આપના બધા જ મંત્રીઓને જેલમાં મોકલી દેવા જોઈએ.તેમણે ઉમેર્યું કે, મેં કેટલાક મહિના પહેલાં જ કહ્યું હતું કે ભાજપ ખોટા કેસોમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરશે. હવે વિશ્વસનીય સૂત્રો તરફથી જાણવા મળ્યું છે કે ભાજપે તપાસ એજન્સીને મનીષ સિસોદિયા પર કોઈને કોઈ નકલી કેસ બનાવવા કહ્યું છે.

કેજરીવાલે મનિષ સિસોદિયાને દેશની શિક્ષણ ક્રાંતિના જનક ગણાવ્યા હતા.તેમણે સવાલ કર્યો કે, દિલ્હીની સરકારી સ્કૂલોમાં ૧૮ લાખ બાળકો ભણે છે. પહેલા આ બાળકોને થર્ડ ક્લાસ શિક્ષણ મળતું હતું.સિસોદિયાએ તેમને સારા ભવિષ્યની આશા આપી છે.મારી વડાપ્રધાન મોદીને હાથ જોડીને વિનંતી છે કે એક એક કરીને આપના નેતાઓને જેલમાં નાખવાના બદલે બધા જ મંત્રીઓ,ધારાસભ્યોને એક સાથે જેલમાં નાંખી દો.તેમ છતાં અમે તપાસ એજન્સીઓ પાસેથી દેશના સૌથી પ્રમાણિક અને દેશભક્ત પક્ષનું સર્ટિફિકેટ લઈને જઈશું.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *