આફ્રિકાના ઝામ્બિયામાં ભરૂચના ટંકારીયાના બે સગા ભાઈઓ પર ગોળીબાર થયો છે. લૂંટના ઈરાદે હુમલો થયાનું અનુમાન છે.
ભરૂચ : વિદેશમાં વસતા ગુજરાતીઓ પર હુમલાની વધુ એક ઘટના સામે આવી છે.આફ્રિકાના ઝામ્બિયામાં ભરૂચના ટંકારીયાના બે સગા ભાઈઓ પર ગોળીબાર થયો છે.લૂંટના ઈરાદે હુમલો થયાનું અનુમાન છે.હુમલામાં ઈમરાન ઈબ્રાહીમ કરકરિયનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.ભરૂચ જિલ્લાના મોટી સંખ્યામાં યુવાનો આફ્રિકાના દેશોમાં રોજગારી માટે વસ્યા છે.જેમના પરિવારો પણ પોતાના સ્વજનોની સુરક્ષાને લઈ ચિંતામાં મુકાઇ ગયા છે.
આફ્રિકાના ઝામ્બિયાની રાજધાની લુસાકાથી 130 કિમીના અંતરે આવેલા કાબવે ટાઉનમાં ભરૂચના ટંકારીયા ગામના બે ભાઈઓ ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા અને અજમદ ઈબ્રાહીમ કરકરિયા રોજગારઅર્થે જઈને વસ્યા છે.ગ્રોસરી શોપ ચલાવતા બે યુવાનો રાતે ઘરે સુતા હતા,ત્યારે નીગ્રો લૂંટારુઓ તેમના ઘરમાં ઘૂસ્યા હતા.રાત્રે 3થી 4 ના અરસામાં લૂંટારુઓની હલચલન કારણે ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા જાગી જતા તે તપાસ માટે ઉઠ્યો હતો.અચાનક લૂંટારુઓની સામે આવી જતા ગભરાયેલા લૂંટારુએ સીધું ફાયરિંગ કરી દીધું હતું.ઘટનામાં ઇમરાન ઈબ્રાહીમ કરકરિયા ત્યાંજ ઢળી પડ્યો હતો.ભાઈની મદદે અજમદ આવી પહોંચતા તેને પણ ગોળી મારવામાં આવી હતી,જેના હાથના ભાગે વાગતા આ યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.