દિલ્હી : લદ્દાખ પાસે ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથે ગયા વર્ષે થયેલી અથડામણમાં ભારતીય સેનાના જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.આટલું જ નહીં,ત્યારથી અત્યાર સુધી એક વર્ષમાં આર્થિક મોરચે પણ લોકોએ ચીનને પછડાટ આપી છે. એક સર્વે અનુસાર,એવા ૪૩ ટકા ભારતીય છે,જેમણે છેલ્લા ૧૨ મહિનામાં ચીનમાં બનેલી કોઇપણ વસ્તુ ખરીદી નથી.
કોમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LocalCirclesના સર્વે અનુસાર, જે લોકોએ ચીનમાં બનેલા ઉત્પાદકોની ખરીદી પણ કરી,તેમનું કહેવું છે કે આવું તેમણે એક કે બે વખત જ કર્યું છે.કેન્દ્ર સરકાર તરફથી ચીનની ૧૦૦થી વધુ એપ પર બેન અને સ્વદેશી વસ્તુઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની નીતિ વચ્ચે આ સર્વે સામે આવ્યો છે.ગયા વર્ષે હિંસક અથડામણ બાદ ભારત સરકારે ટિકટોક,અલી એક્સપ્રેસ સહિત કેટલીક એપ્સને બેન કરી હતી.આટલું જ નહીં,ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થતાં દેશભરમાં રોષ હતો અને ચીની ઉત્પાદકોના બહિષ્કારની પણ અપીલ કરાઇ હતી.
સરવેમાં દેશના ૨૮૧ જિલ્લાના ૧૮,૦૦૦ લોકોને સામેલ કરવામાં આવ્યા હતા.સરવેમાં સામેલ મોટાભાગના લોકોએ ચીની વસ્તુની ખરીદી પાછળ ઓછી કિંમત અને નાણાની બચતને જવાબદાર ગણાવી હતી.છેલ્લા એક વર્ષમાં ચીનની વસ્તુ ખરીદનારા લોકોમાંથી ૭૦ ટકાએ જણાવ્યું કે, તેમણે એટલા માટે ખરીદી કેમ કે પૈસાની બચત થતી હતી.ચીનની વસ્તુ ખરીદનારા સરવેમાં સામેલ લોકોમાંથી ૧૪ ટકાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષમાં તેમણે ૩થી ૫ વસ્તુ ખરીદી.ઉપરાંત ૭ ટકા લોકો એવા છે, જેમણે ચીનમાં બનેલી ૫-૧૦ વસ્તુ ખરીદી.

