મુંબઇ,તા.૩૦: વેપારી દ્વારા જયારે ઇન્કમટેકસનું રિટર્ન ભરવામાં આવે ત્યારે હવેથી જીએસટી નંબર નાંખતાની સાથે જ સમગ્ર વર્ષ દરમિયાન તેનું કેટલું ટર્નઓવર છે તે સહિતની જાણકારી હવે ઓનલાઇન મળી રહેશે.જેથી આઇટીની વેબસાઇટ પર જ જીએસટીનાટર્નઓવરની જાણકારી વેપારીઓને મળી રહેવાની છે.તેના લીધે વેપારીઓમાં કહીં ખુશી કહીં ગમ જેવી સ્થિતિ ઊભી થવાની છે.
જે વેપારીઓ પ્રામાણિકપણે વેપાર કરતા હશે તેઓ દ્વારા ટર્નઓવર પ્રમાણે જ જીએસટી અને આઇટીનું રિટર્ન ભરતા હોય છે,પરંતુ ટેકસ બચાવવા માટે અનેક વેપારીઓ જીએસટી અને આઇટીના રિટર્નમાં ટર્નઓવર અલગ અલગ બતાવતા હોય છે.કારણ કે સીબીડીટી અને સીબીઆઇસીના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકોમાં આ હકીકતો બહાર આવી હતી.તેના કારણે હવેથી એકબીજાનો ડેટા જોઇ શકે,તેનો વપરાશ કરી શકે તે માટે બંને વચ્ચે કરાર પણ કરી દેવામાં આવ્યા છે. આ કરાર થયાના ગણતરીના દિવસોમાં જ હવે આઇટીની વેબસાઈટ પર જીએસટી નંબર નાંખતાની સાથે જ વેપારીના વાર્ષિક ટર્નઓવરની જાણકારી મળી રહેવાની છે.
હવેથી વેપારી દ્વારા આઇટીના રિટર્નમાં કે પછી જીએસટીના રિટર્નમાં આંકડાની ગોલમાલ કરવામાં આવે તો તાત્કાલિક તેની જાણકારી બંને વિભાગને થવાની છે.તેના કારણે બંને વિભાગમાં ભરપાઇ કરાયેલા રિટર્નમાં વિસંગતતાને લીધે બંને દ્વારા વેપારીને નોટિસ પણ મળવાની શકયતા રહેલી છે.આ નોટિસ નહીં મળે તેને ધ્યાને રાખીને જ વેપારી દ્વારા જયારે આઇટી રિટર્ન ભરવામાં આવે ત્યારે જીએસટી નંબરની સાથે તેના વાર્ષિક ટર્નઓવરની પણ જાણકારી ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે. જેથી રિટર્ન ભરતી વખતે તે આંકડાને ધ્યાને રાખીને રિટર્ન ભરપાઇ કરે તો નોટિસની કાર્યવાહીથી બચી શકાય તેમ છે.જેથી બંને વિભાગના ડેટા શેર કરવાને કારણે હવે પ્રામાણિક વેપારીને લાભ થવાનો છે.જયારે ટેકસ ચોરી કરનાર સામે કાર્યવાહી થવાની પણ શકયતા નકારી શકાય તેમ નથી.