– દિનપ્રતિદિન ચિંતાજનક રીતે આપઘાતની ઘટના વધી રહી છે. સામાન્ય બાબતો પણ હવે જીવલેણ બની રહી છે
– પતિએ પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ પત્ની ન માનતા આખરે યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
વડોદરા : વડોદરામાં ઘરકંકાસમાં યુવાને આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવાને સ્યુસાઈડનોટ લખી યુવાને આપઘાત કર્યો છે.યુવાને આપઘાત માટે પત્ની,સાસુ અને સસરાને જવાબદાર ગણાવ્યા છે.યુવાને સ્યુસાઈડ નોટમાં લખ્યું છે કે, હું મારી પત્ની,સાસુ,સસરાના ત્રાસથી આપઘાત કરું છું.આ આપઘાત નહિ,પણ મર્ડર છે.પતિએ પત્નીને સમજાવવાનો પ્રયાસ કર્યો,પરંતુ પત્ની ન માનતા આખરે યુવાને આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે.હાલ સ્યુસાઈડ નોટના આધારે પોલીસે સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરી છે.મહત્વનું છે કે,દિનપ્રતિદિન ચિંતાજનક રીતે આપઘાતની ઘટના વધી રહી છે. સામાન્ય બાબતો પણ હવે જીવલેણ બની રહી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર,ઘરેલુ હિંસાથી કંટાળીને વડોદરાના કરચિયા ગામના શિરીષ દરજી નામના યુવકે આત્મહત્યા કરી છે.શિરીષ દરજીનો પરિવાર કરચિયા ગામના આમ્રપાલી સોસાયટીના મકાન નંબર 24 માં રહેતો હતો.શિરીષે એલએલબીનો અભ્યાસ કર્યો હતો. તથા તેના બાદ તે પ્રાઈવેટ કંપનીમાં સેલ્સ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતો હતો. ગત રાત્રે તેણે પોતાના રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.સ્થાનિકોએ આ વિશે પોલીસને જાણ કરી હતી.પોલીસને મૃતદેહ પાસેથી શિરીષે લખેલી સુસાઇડ નોટ પણ મળી આવી હતી.જેને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
શિરીષના આત્મહત્યાથી તેના માતા પર આભ તૂટી પડ્યું હતું.તેમણે વલોપાત કરતા જણાવ્યું કે,મારો દીકરે કહેતો કે મમ્મી આપણે જઈને મારા સાસુ-સસરાને મળી આવીએ અને પગે લાગીને માફી માંગીએ.જો મારી પત્નીને મોકલે તો લઈ આવીશું. પરંતુ મારી વહુના પિતાએ કહ્યું કે,તમે સુધરો તેના પછી હું તમને મોકલીશ. અમે ઘણી આજીજી કરી,પણ વહુના માતાપિતા ન માન્યા.તેણે અનેકવાર પત્નીને મળવાની જીદ કરી.તેથી અમે મળવા પણ ગયા હતા.ત્યારે તેની પત્ની અમારા પર બરાડા પાડવા લાગી હતી.મારી વહુએ એમ પણ કહ્યું હતું કે,તમે દીકરો નહિ પણ રાક્ષસ જણ્યો છે.આ સાંભળીને મને આઘાત લાગ્યો હતો.તેથી હું ત્યાંથી નીકળી ગઈ હતી.આ શબ્દો સાંભળીને મારા દીકરાને આઘાત લાગ્યો હતો.
(દીકરાના મોત બાદ માતાનો વહુ પર આરોપ)
યુવાનની સુસાઇડ નોટના આધારે પોલીસે પરિવારજનોની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.જવાહરનગર પોલીસે શિરીષની સ્યૂસાઈડ નોટ મેળવી પીએમની કાર્યવાહી શરૂ કરી છે.
સ્યૂસાઈડ નોટમાં શિરીષે પત્ની વિશે શું કહ્યું….
હું શું કરું? મને સમજાતું નથી. હું મારી હાર પહેલા જ માની ચુક્યો છું,હાર માનીને પહેલા પણ હું ઘર છોડીને જતો રહ્યો હતો.હું મારા-મમ્મી તથા ભાઈ માટે વિચારી પાછો આવી ગયો હતો.મારા પાછા આવ્યા બાદ પણ મારી પત્ની મોનિકા દ્વારા મને ટોર્ચર કરવાનું બંધ કરવામાં ના આવ્યું તથા મારા સાસુ-સસરા દ્વારા પણ તેમને સમજાવવામાં ન આવી.મેં મારાથી બનતા તમામ પ્રયત્નો કર્યા છે.મારી પત્ની તથા તેના મા-બાપ માની ગયા હોત તો આ સમસ્યાનો ઉકેલ આવી જાત.આખરે મારા સાસુ-સસરા અને પત્ની ન માન્યા બાદ મારા માટે આત્મહત્યા કર્યા સિવાયનો કોઈ ઓપ્શન બાકી ન રહ્યો.બસ હું આત્મહત્યા કરી રહ્યો છું,તે આત્મહત્યા નહીં પણ મર્ડર છે.મારા પરિવાર તથા પોલીસને જાણ થાય કે મારા મર્યા બાદ મને મરવા માટે મજબૂર કરનાર મારી પત્ની તથા તેના મા-બાપને સજા થાય એવી આશા છે.