સુરત : ચાર આરોપી નાસતા ફરતા હોઈ તપાસ ચાલુ હોવાથી આરોપી સંચાલક રાજુ મીઠાપરાની અરજી કોર્ટે રદ કરી ઈચ્છાનાથ વિસ્તારમાં રહેણાંક ફ્લેટમાં સ્પા મસાજના નામે દેહવ્યાપારનો ધંધો કરાવવાના કેસમાં આરોપી સંચાલકે ઉમરા પોલીસની ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીનની માંગને એડીશ્નલ સેશન્સ જજ અમિતાબેન વૈષ્ણવે નકારી કાઢી છે.
ઉમરા પોલીસે ગઈ તા.25મી મેના રોજ બાતમીના આધારે ઈચ્છાનાથ વિસ્તારમાં શિવમએપાર્ટમેન્ટમા પહેલા માળે ફ્લેટ નં.ડી-04માં સ્પા-મસાજના નામે દેહવ્યાપારનો ધંધો કરાવવામાં આવતો હોઈ રેડ કરી હતી.જે દરમિયાન લલનાઓ સહિત ફ્લેટમાં રહેતા આરોપી આનંદ નટવરભાઈ જાદવ મળી આવ્યા હતા.
જેથી ઉમરા પોલીસે ઈમોરલ ટ્રાફીક એક્ટના ભંગ બદલ આરોપીઓની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા.આરોપી આનંદ જાદવે પોતાના શેઠ રાજભાઈ,રાજુ મીઠાપરા,ભગતભાઈ,સરકારભાઈ તથા ડાયમંડ ભાઈએ ફ્લેટ ભાડે રાખીને તેને રૃ.13 હજાર મહીને પગારની નોકરીએ રાખ્યા હોવાનું જણાવ્યું હતુ.
જેથી ધરપકડથી બચવા આરોપી રાજુ ખોડુ મીઠાપરા(રે.સાગર સંકુલ જહાંગીરપુરા)એ આગોતરા જામીનની માંગ કરી હતી.જેના વિરોધમાં એપીપી નિલેશ ગોળવાળાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ ગંભીર ગુનાના પ્રથમ દર્શનીય કેસની તપાસ ચાલુ હોવા ઉપરાંત અન્ય ચાર સંચાલકો હજુ પોલીસ પહોંચથી બહાર છે.આ કેસના આરોપી આનંદ જાદવના રેગ્યુલર જામીન સ્થાનિક અદાલતે નકારી કાઢતા હાઈકોર્ટે શરતોને આધીન જામીન મુક્ત કર્યા છે.પરંતુ હાલના આરોપી તથા જામીન મુક્ત આરોપીની ગુનાઈત ભૂમિકા અલગ હોઈ સમન્યાયના સિધ્ધાંત હેઠળ જામીન આપી શકાય નહીં.