વિશ્વયુદ્ધ પછીની ચૂંટણી હાર્યા પછી બ્રિટિશ પ્રધાનમંત્રી વિન્સ્ટન ચર્ચિલનું એક સરસ વિધાન હતું.પોતાના પરાજયને સ્વીકારતાં તેમણે કહ્યું હતું, Election is like a pressure cooker. It burns and gives space to inner vapour to come out. ચૂંટણી એ કૂકર જેવી છે.એમાં અંદરના ધૂંધવાટને બહાર લાવવા માટે કોઈકે બળવું પડે છે.
ભાજપની ટીકિટોની ફાળવણી પછી ઓછામાં ઓછી પચાસ બેઠકો પર સ્થાનિક કાર્યકરોનો અસંતોષ ફાટી નીકળ્યો
ભાજપની ટીકિટોની ફાળવણી પછી ઓછામાં ઓછી પચાસ બેઠકો પર સ્થાનિક કાર્યકરોનો અસંતોષ ફાટી નીકળ્યો છે.દાવેદાર અનેક હોય અને ઉમેદવારી ફક્ત એકને જ મળવાની હોય ત્યારે અસંતોષ ઊભો થાય એ સ્વાભાવિક ક્રમ છે પરંતુ આ વખતે એ અસંતોષ ‘મને ટીકિટ કેમ ન મળી’ એ પ્રકારનો નહિ પરંતુ ‘આને ટીકિટ કેમ મળી’ એ પ્રકારનો હોવાનું વધુ પ્રતિત થાય છે.કોંગ્રેસમાંથી આવેલાં સચવાઈ જાય,દાદાગીરી કરનારાંને એકે ય માપદંડ લાગુ ન પડે,જેઠા ભરવાડ અને પબુભા માણેકને ચાર-પાંચ કે સાત ટર્મ પછી ય ટીકિટ મળે અને યોગેશ પટેલને નો રિપિટમાં કાપી લેવાય,સગાંવાદ નહિ ચાલે એમ કહીને કેટલાંયની માગણી ટાળી દેવાય અને ભાવનગરમાં ભાજપ શહેરપ્રમુખની પત્નીને પક્ષમાં એક દિવસના ય યોગદાન વગર ટીકિટ આપી દેવાય આ વિરોધાભાસ આ વખતે ઠેરઠેર ઊડીને આંખે વળગે છે.કાર્યકર્તાઓની નારાજગી અને આંતરવિરોધના કારણે કેટલાંક દિગ્ગજોને પરસેવો વળી રહ્યો છે.
ઋષિકેશ પટેલ
ભુપેન્દ્ર પટેલની સરકારમાં આરોગ્યમંત્રીએ બેઠક બદલવા માટે બહુ ધમપછાડા કર્યા.વિસનગરને બદલે ઊંઝા કે મહેસાણા જવાના તેમના પ્રયત્નો સફળ ન થયા અને વિસનગરથી જ તેમનું નામ જાહેર થયું.સ્થાનિક સ્તરે તેમના માટે અસંતોષ છે અને હવે દિગ્ગજ સહકારી નેતા વિપુલ ચૌધરીએ આપમાં જોડાઈને વિસનગરથી ઉમેદવારી જાહેર કરી છે.હાલમાં અર્બુદા સેનાના નામે બહુ અસરકારક રીતે વિક્ટિમ કાર્ડ રમી રહેલાં વિપુલ ચૌધરીની હાજરી અને સ્થાનિક સંગઠનના વિરોધના કારણે ઋષિકેશ પટેલને મત ગણતરીના દિવસ સુધી સરખી ઊંઘ નહિ આવે એ નિશ્ચિત છે.
કુંવરજી બાવળિયા
કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં કુંવરજીને જે-તે સમયે સ્થાનિક સંગઠને પોંખ્યા હતા એવું વાતાવરણ હવે બિલકુલ નથી વર્તાતું.ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી બન્યાં પછી બાવળિયાએ પોતાના માનીતાઓને વિવિધ હોદ્દાઓ પર ગોઠવવાની તજવીજ કરી ત્યારથી સ્થાનિક ભાજપ સંગઠન તેમના વિરોધમાં આવી ગયું છે.જસદણ પછી રાજકોટની ટીકિટ મેળવવામાં પણ નિષ્ફળ ગયેલા દિગ્ગજ નેતા ભરત બોઘરા પણ બાવળિયા સામેના અસંતોષને યથાશક્તિ હવા આપતાં રહે એવી સ્થાનિક સ્તરે ધારણા મૂકાઈ રહી છે.જસદણ-વીંછીયા બેઠક પર કોળી
સમુદાયની સાથોસાથ પાટીદાર સમાજના મત પણ એટલાં જ મહત્વપૂર્ણ છે ત્યારે બાવળિયા આ વખતે ચમત્કાર કરી શકે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.
હાર્દિક પટેલ
હાર્દિક પટેલઃ ગત ચૂંટણીમાં ગેમ ચેન્જર ચહેરો બનેલાં હાર્દિક પટેલ ફેસબુક લાઈવ કરે ત્યારે લાખો લોકો તેમને જોતાં-સાંભળતાં હતા.એ જ હાર્દિક પટેલને આજે પોતાના મતવિસ્તારમાં સભા કરવાના ય ફાંફા છે.કારણ કે તેમને સ્થાનિક સંગઠનનો બિલકુલ સહયોગ નથી.આંદોલનકારી તરીકે ભાજપ માટે,ભાજપના નેતાઓ અને કાર્યકરો માટે તેમણે કરેલાં વિધાનો કોઈથી ભૂલાતા નથી અને કોઈ ભૂલે તો યાદ કરાવવાની વ્યવસ્થા પણ સ્થાનિક સ્તરે થઈ રહેલી જોવા મળે છે.એટલે હાર્દિકને પણ અત્યારે આંતરવિરોધના કારણે ચૂંટણી જીતવી એ લોઢાના ચણા ચાવવા જેવું મુશ્કેલ લાગશે.
કુમાર કાનાણી
કુમાર કાનાણીઃ વરાછા રોડ જેવી પ્રતિષ્ઠિત બેઠકના આ ઉમેદવાર કપાઈ જશે એવી પૂરી ધારણા વચ્ચે તેમને રીપિટ કરાયા છે પરંતુ ટીકિટ મેળવવાનો કોઈ ઉત્સાહ તેમને વર્તાતો નહિ હોય.કારણ કે આ વખતે આપ અને કોંગ્રેસ બંને તરફથી તેમને મક્કમ હરીફાઈ મળવાની છે.એ ઉપરાંત તેમની સામે વ્યાપક વિરોધ છે.આ વિસ્તારના મોટા ગજાના ભાજપના નેતા મુકેશ કોઠિયાએ તેમને આયાતી ઉમેદવાર ગણાવ્યા છે અને સ્થાનિક કાર્યકરોનું બહુ મોટું જૂથ કાનાણીના પ્રચારથી વિમુખ રહેવાની જાહેરાત કરી ચૂક્યું છે.
અલ્પેશ ઠાકોર
અલ્પેશ ઠાકોરઃ લીલી શાહીવાળી પેનથી સહી કરવાનો અભરખો વ્યક્ત કરી ચૂકેલા કોંગ્રેસ રિટર્ન નેતા માટે રાધનપુરની બેઠક પર બોલકો જાકારો મળ્યો ત્યારે જ સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ હતી.હવે તેમને ધરાર ગાંધીનગર દક્ષિણની બેઠક પર ઊભા રખાયા છે.અહીં તેમને સ્થાનિક સંગઠનનો બિલકુલ સહકાર નથી અને તેમની ઠાકોર સેના માટે આ મત વિસ્તાર અજાણ્યો પડે છે.એ સંજોગોમાં પ્રચાર માટેની વિવશતાનો તેમને કંઈક રસ્તો સૂઝશે ત્યાં તો મતદાન પતી ગયું હશે.